ચોંકાવનારા સમાચાર : ભુજમાં પૈસા માટે પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો
- પત્નીએ પતિને પૈસા માટે જીવતો સળગાવીને રૂમનો દરવાજો બંધ કરી દીધો
- ગંભીર રીતે દાઝેલો વૃદ્ધ પતિ જી. કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભુજમાં એક ચકચારી ઘટના ઘટી છે, જેમાં પત્નીએ પોતાના પતિને જીવતો સળગાવી દીધો છે. આ વચ્ચે બીજી મહત્વપૂર્ણ બાબતે તે છે કે, આ મહિલાએ દોઢ વર્ષ પહેલા જ એક પૌઢ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. એક પત્નીએ પોતાના 60 વર્ષીય પતિને રૂપિયાની લાલચમાં જીવતો સળગાવી દીધો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગંભીર રીતે દાઝેલો વૃદ્ધ પતિ જી. કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે માનકુવા પોલીસે વૃદ્ધની પત્ની સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભુજના સામત્રા ગામના 60 વર્ષીય ધનજી પટેલે પ્રથમ પત્નીના મૃત્યુ બાદ લગભગ દોઢ વર્ષ પહેલાં કૈલાસ નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. કૈલાસના પોતાના પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ધનજીભાઈને ત્રણ દીકરા છે પરંતુ, તેમાંથી બે વિદેશમાં છે અને એક પોતાના જ ગામમાં સ્વતંત્ર પોતાના પરિવાર સાથે રહે છે. ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતાં.
આ પણ વાંચો- ટ્રેકિંગ વખતે ભૂલા પડેલા વિદ્યાર્થીઓને પોલીસે ગણતરીના કલાકોમાં બચાવ્યા પરંતુ તે પહેલા શું થયું તે જાણો છો?
આ અંગે એવી માહિતી મળી રહી છે કે, લગ્ન બાદ કૈલાસે ધનજી પટેલની પહેલી પત્નીના અંદાજિત 18 તોલા સોનાના દાગીના લઈ લીધા હતા.
આ દાગીનામાં મંગળસૂત્ર, પાટલા, કંઠી અને વીંટીનો સમાવેશ થાય છે. ધનજી પટેલ જ્યારે આ દાગીના પરત માંગતા તો તે પાછા ન આપતી અને ઝઘડા કરતી હતી. આ દરમિયાન કૈલાસે ભૂજમાં પોતાના નામે એક ઘર ખરીદ્યું હતું, જેના હપ્તા પણ ધનજી પાસેથી લઈ જતી હતી. જો તે કૈલાસને રૂપિયા આપવાની ના પાડે તો તે જાનથી મારી નાંખવાની ધમકી આપતી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ વિશે પીડિત કૈલાશે પોતાના ગામમાં રહેતા દીકરા અને અન્ય એક સામાજિક કાર્યકર સાથે પણ વાત કરી હતી.
શનિવારે (11 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યે કૈલાસે ફરી ધનજી પટેલ પાસે પૈસા માંગ્યા હતા. જોકે, ત્યારે તેમણે પૈસા આપવાનો ઈનકાર કરતા કૈલાસ ઉશ્કેરાઈ ધનજી પટેલ ઉપર કેરોસીન છાંટીને તેમને જીવતા સળગાવી દીધા હતા. આ દરમિયાન એવું બોલી રહી હતી કે, 'આજે તો તને જીવતો નહીં મૂકું...' એકબાજુ પતિ સળગી રહ્યો હતો અને બૂમો પાડતો ત્યાં બીજી બાજુ કૈલાસ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો હતો.
આ હિચકારી ઘટનાની જાણ થતાં ધનજી પટેલનો દીકરો અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તે પછી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેમને જી. કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ જણાવ્યું કે, તેમણે 90 ટકા સુધી દાઝી ગયા છે. જોકે, હાલ ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આખી ઘટના વિશે ધનજી પટેલના પુત્રએ માનકુવા પોલીસ સ્ટેશનમાં કૈલાસ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી કૈલાસને ઝડપી લીધી હોવાની માહિતી સામે આવી રહી છે. આ અંગે માનકૂવા પોલીસે વૃધ્ધની પત્ની વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- Kutch : ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રાત્રે 10 વાગ્યાની આસપાસ અનુભવાયા ભૂકંપના આંચકા


