Surat: ઉમરા વિસ્તારમાં બાઈક સવાર ત્રણ મિત્રોને અકસ્માત નડતા બે લોકોના મોત નીપજ્યાં
- સુરતના ઉમરા વિસ્તારમાં ત્રણ યુવકોનો અકસ્માત
- અકસ્માત નડતા બે લોકોના કરૂણ મોત થયા હતા
- ઘટનામાં ઇજાગ્રસ્ત અન્ય એક યુવકની હાલત ગંભીર
સુરત (Surat)ના ઉમરા વિસ્તારમાં બાઈક સવાર ત્રણ મિત્રોને અકસ્માત (Accident) નડતા બે લોકોના કરૂણ મોત થયા હતા. જ્યારે ઘટનામાં ઇજાગ્રસ્ત અન્ય એક મિત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા ત્રણેય મિત્રો મોટર સાયકલ પર અઠવાગેટ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાતા ત્રણેય જોરદાર રીતે જમીન પર પટકાયા હતા. જેના કારણે ગંભીર ઇજાઓ થતા બે મિત્રોના મોત નીપજ્યા હતા. જોકે આ ઘટનામાં ચાલક સહિતના લોકોએ હેલ્મેટ પહેર્યું હોત તો યુવકોનો જીવ બચી શક્યો હોત તેમ પરિવારજનોએ જણાવ્યું હતું. ઘટના અંગે ઉમરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અઠવાગેટ બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બની હતી
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા અઠવાગેટ બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બની હતી. મોટરસાયકલ પર ત્રણ મિત્રો ઉમરાથી અઠવાગેટ તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન આ ત્રણેય મિત્રોની મોટરસાયકલ ડિવાઇડર સાથે ભટકાઈ હતી. જેથી ત્રણેય મિત્રોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઈજા હોવાના કારણે ત્રણ પૈકી બે મિત્રોના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યાં હતા. જેમાં પ્રથમ નરેશ પટેલ અને રોહિત રાવલ નામના યુવકનું ઘટનામાં કરુણ મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત અન્ય એક મિત્રની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટના અંગે મૃતકના પરિજનોએ જણાવ્યું હતું કે, ત્રણે મિત્રો મોટર સાયકલ લઇ અઠવાગેટ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન મોટરસાયકલ ડીવાઈડર સાથે ભટકાતા અકસ્માતની આ ઘટના બની હતી. જે ઘટનામાં બે મિત્રો મોતને ભેટ્યા હતા. જો આગળ બેઠેલા મિત્ર સહિત અન્ય યુવકે હેલ્મેટ પહેર્યું હોત તો ઘટનામાં જીવ બચી શક્યો હોત. પરંતુ હેલ્મેટ ના પહેરવાના કારણે બે મિત્રો મોતને ભેટ્યા હતા. જેથી લોકોએ પણ હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે. જેથી કરી આવી ઘટના બને તો પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા અને સલામતી પણ જળવાઈ રહે. ઘટના અંગે આગળની તપાસ ઉમરા પોલીસે હાથ ધરી હતી.
આ પણ વાંચો: Rajkot ગોંડલમાં પતિ બન્યો હેવાન, પત્નીને છરીનાં ઘા ઝીંકી રહેંસી નાખી


