Surendranagar Rain : ઝાલાવાડ પર ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન, જિલ્લાના 11 ડેમો પૈકી 6 ડેમ ઓવરફ્લો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ મેઘમહેર
- જિલ્લાના 11 ડેમો પૈકી 6 ડેમ ઓવરફ્લો થઇ ગયાં
- અન્ય પાંચ ડેમો પણ 70 ટકાથી વધુ ભરાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં જુન મહિનાના બીજા સપ્તાહ સુધીમા જિલ્લામાં આવેલા ૧૧ ડેમોમાં માત્ર ૨૫ થી ૨૮ ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો હતો. વરસાદ ખેંચાય તો પાણીની વિકટ સ્થિતિ સર્જાવાના પણ એંધાણ હતાં. પરંતુ જુન માસના ત્રીજા સપ્તાહની શરૂઆતમાં જ સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામાં મેઘમહેર થઇ છે અને જિલ્લામાં તમામ તાલુકામાં અંદાજે છ ઇંચથી વધુ વરસાદ થતાં જિલ્લાના તમામ ડેમોમા નવા નીરની આવક થઇ છે. જેમાં ચોટીલા પંથકમાં સૌથી વધુ અંદાજે ૧૦ ઈંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.
તેમજ ઉપરવાસમાં સારા વરસાદના કારણે જીલ્લાના નાયકા, ધોળીધજા, સબુરી, વાંસલ, થોરીયાળી અને વડોદ ડેમ તો પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થઇ ગયાં છે. જેમાં મુળીના નાયકા ડેમમાંથી અંદાજે ૫૪૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ધોળીધજા ડેમમાંથી પણ ૦૪ હજાર ક્યુસેક પાણી ઓવરફ્લો થઇ રહ્યુ છે. જ્યારે જિલ્લાના અન્ય ડેમો મોરસલ, ત્રિવેણી ઠાંગા, ફલકુ, નીંભણી અને ધારી ડેમમાં ૭૦ ટકાથી વધુ નવા નીરની આવક થઇ છે.
આમ સિઝનના પ્રથમ વરસાદે જ કુદરતે મહેર વરસાવતા જિલ્લામાં પાણીની સમસ્યાનો અંત આવતા મહિલાઓ સહિત લોકોએ રાહત અનુભવી છે. સામાન્ય રીતે સુરેન્દ્રનગર જીલ્લામાં ચોમાસાની શરૂઆત ધીમી અને કટકે કટકે થાય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતા સુરેન્દ્રનગર જીલ્લાના ૧૧ ડેમો પૈકી ૦૬ ડેમ તો પ્રથમ વરસાદમાં જ ભરાઈ ચૂક્યા છે. જ્યારે અન્ય ૦૫ ડેમમાં ૭૦% થી વધુ પાણીની આવક થતા ખેડૂતોના આગોતરા વાવેતરને તો ફાયદો થયો છે. સાથે સારા વરસાદથી ખેડૂતોએ નવી સિઝનનું વાવેતર પણ શરૂ કરી નાખ્યું છે. આમ ઝાલાવાડ પર ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે
પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયા
આ બાબતે રતનપર ગામના સ્થાનિક રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ વરસાદમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ જળાશયો ભરાઈ ગયા છે. કુલ 11 ડેમ છે. જેમાંથી 6 થી 7 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ધોળીધજા, સબુરી, વાંસલ, થોરીયાળી આ બધા ડેમ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થઈ ગયા છે. એ ખેડૂતો માટે ખુશીના સમાચાર છે.
આ પણ વાંચોઃ Valsad Rain : ભારે વરસાદને લઇ નેશનલ હાઇવે પ્રભાવિત, ગુંદલાવ નજીક પાર્ક કરેલ વાહનો પર વૃક્ષ ધરાશાયી થયું
બે દિવસથી સતત વરસાદ પડતા જળાશયો ઓવરફ્લો થયા
સુરેન્દ્રનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.વી.કણસાગરાએ જણાવ્યું હતું કે, હેઠળ ટોટલ 11 જળાશયો આવેલ છે. સોમવારથી વરસાદ ચાલુ હોવાના કારણે કુલ 11 જળાશયોમાંથી કુલ 6 જળાશયો ઓવરફ્લો થયા છે. નાયકા ડેમ વિસ્તારમાં વધુ વરસાદ પડતા તેના ગેટ ઓપન કરી આઉટ ફ્લો કરવામાં આવેલ હતો. જેના કારણે ધોળીધજા ડેમ પણ ઓવરફ્લો થયો હતો.
આ પણ વાંચોઃ Ahmedabad rain : વટવા વિસ્તારમાં આવેલ તળાવ છલકાયું, મનપાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી


