SVPI Airport પર દુબઈથી ભારતીય પાસપૉર્ટ પર આવેલા બે બાંગ્લાદેશી પકડાયા, SOG ને તપાસ સોંપાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપૉર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) અનેક વખત સમાચારોમાં આવે છે. સોનું, ડ્રગ્સ અને કિંમતી વસ્તુઓની દાણચોરીના કિસ્સાઓ સમયાંતરે સામે આવતા રહે છે. SVPI Airport પરથી ભૂતકાળમાં પણ બોગસ દસ્તાવેજોથી બનાવેલા પાસપૉર્ટ પર મુસાફરી કરી રહેલા શખસોને ઝડપી લેવામાં આવ્યા છે. આ વખતે આંતરરાષ્ટ્રીય એરપૉર્ટ પર ભારતીય પાસપૉર્ટ પર મુસાફરી કરી રહેલા બે બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi Holding Indian Passport) મળી આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, બંને ઘૂસણખોરો પાસેથી બાંગ્લાદેશના ઓળખપત્રો અને જન્મના પ્રમાણપત્ર મળી આવ્યા છે.
SVPI Airport પર કેવી રીતે ઝડપાયા બંને ઘૂસણખોર ?
ગત શુક્રવારે સાંજે SVPI Airport ખાતે ઈમિગ્રેશન ઑફિસર સુરેન્દ્ર ફિરોદા ફરજ પર હાજર હતા ત્યારે દુબઈથી આવેલી ફલાઈટમાં બે પેસેન્જર તેમના ઈમિગ્રેશન પ્રક્રિયા માટે કાઉન્ટર પર આવ્યા હતા. મિથુન બિશ્વાસ ઑરિસ્સાના વિશાખાપટ્ટનમ આરપીઓ (Visakhapatnam RPO) તેમજ રિદોય ભદ્રા પશ્ચિમ બંગાળના કૉલકતા આરપીઓ (Kolkata RPO) દ્વારા ઈસ્યુ કરાયેલા ભારતીય પાસપૉર્ટ પર વિદેશ પ્રવાસ કરતા હતા. દક્ષિણ ભારતના રહેવાસી એવા બંને શખસો Sardar Vallabhbhai Patel International Airport ખાતે કેમ ઉતર્યા તેને લઈને મિથુન બિશ્વાસ અને રિદોય ભદ્રાની પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન બંને શખસો પાસેથી બાંગ્લાદેશી નાગરિક હોવાના ઓળખપત્ર સહિતના દસ્તાવેજો મળી આવ્યા હતા. વધુ પૂછપરછમાં મિથુન બિશ્વાસનું સાચું નામ મિથુન બાલા હોવાનું તેમજ રિદોય ભદ્રાનું સાચું નામ જયંત બિશ્વાસ હોવાનું સામે આવ્યું હતું. આ બંને શખસો અનુક્રમે વર્ષ 2018 અને વર્ષ 2017માં ઘૂસણખોરી કરીને ભારતમાં આવ્યા હતા. ભારતમાં પ્રવેશ્યા બાદ તેમણે સ્થાનિક એજન્ટો થકી વૉટર આઈડી (Voter ID) તથા આધારકાર્ડ (Aadhar Card) બનાવી લીધા હતા અને તેના આધારે આસાનીથી ભારતીય પાસપૉર્ટ પણ મેળવી લીધા હતા.
SVPI Airport પર કેમ આવ્યા બંને બાંગ્લાદેશી ?
SVPI Airport Bureau Of Immigration ના સુરેન્દ્ર ફિરોદાએ એરપૉર્ટ પોલીસ સ્ટેશન ખાતે બંને ઘૂસણખોર બાંગ્લાદેશી સામે ફરિયાદ નોંધાવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ મામલાની તપાસ SOG Ahmedabad City એ મેળવી લઈ બંને ઘૂસણખોરોની તપાસ આરંભી છે. બંને શખસો યુએઈ દુબઈ (Dubai UAE) સિવાય અન્ય કયા-કયા દેશમાં ભારતીય પાસપૉર્ટ આધારે પ્રવાસ કર્યો છે અને પ્રવાસનો હેતુ શું હતો ? તે જાણવા પ્રયાસ કરી રહ્યાં છે. ભારતીય પાસપૉર્ટ સહિત અન્ય દસ્તાવેજો મેળવવામાં કોણે મદદ કરી અને અન્ય કેટલાં ઘૂસણખોરોએ ભારતીય પાસપૉર્ટ સહિતના દસ્તાવેજો બનાવ્યા છે તેની જાણકારી મેળવવામાં આવી રહી છે. દુબઈથી પરત ફરેલા બંને ઘૂસણખોરો કેમ અમદાવાદ એરપૉર્ટ ખાતે ઉતર્યા અને તેમના ગુજરાતમાં રહેલા સંપર્કોની પણ માહિતી મેળવવા એસઓજીના તપાસ અધિકારી પ્રયત્નશીલ છે. પકડાયેલા બંને ઘૂસણખોરોની સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી સહિતની એજન્સી આગામી દિવસોમાં પૂછપરછ કરશે.
આ પણ વાંચો- બોગસ કોલ સેન્ટરના માસ્ટર માઈન્ડ વિકાસ નિમાર ઉર્ફે મિસ્ટીને CBI એ ઝડપ્યો, મિસ્ટીએ અમદાવાદને ગઢ બનાવ્યો હતો


