Vadodara : અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ડમ્પરની અડફેટે અકસ્માત, યુવકનું મોત
- વડોદરા પાલિકા દ્વારા દિવાળીને ધ્યાને રાખીને ડેકોરેશન કર્યું
- અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ડેકોરેશન જોવા નીકળેલા યુવકનો અકસ્માત
- બે પૈકી એકનું મોત, અન્યની હાલત અતિગંભીર હોવાનું જાણવા મળ્યું છે
Vadodara : વડોદરા (Vadodara) સહિત દેશભરમાં દિપોત્સવી (Diwali - 2025) પર્વને લઇને ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. વડોદરામાં પાલિકા તંત્ર દ્વારા દિવાળી પર્વને ધ્યાને રાખીને અકોટા દાંડિયા બજાર બ્રિજ (Akota Dandiya Bazar Bridge - Vadodara) સહિત અનેક જાહેર જગ્યાઓ પર રોશનીનો ઝગમગાટ પાથર્યો છે. અને તેને જોવા માટે મોડી સાંજ બાદથી લોકો ઉમટી પડે છે. આ વચ્ચે ગતરાજ ઘનતેરસની રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ડમ્પરની અડફેટે ટુ વ્હીલરનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકનો જન્મદિવસ હોવાથી તે મિત્રો સાથે બહાર નીકળ્યો હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. આ ઘટનાને પગલે દિપોત્સવી પર્વ ટાણે જ ડમ્પર ચાલકે એક પરિવારનો દિવો ઓલવી નાંખ્યો હતો. ઘટનાને લઇને ટ્રાફિક પોલીસની કામગીરી સામે ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
ટુ વ્હીલર ડમ્પરના નીચે આવી ગયું
વડોદરામાં પાલિકા દ્વારા દિવાળી પર્વને ધ્યાને રાખીને અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિત અનેક જાહેર જગ્યાઓ પર રોશની કરી છે. એલઇડી લાઇટો વડે કરેલું કલાત્મક ડેકોરેશન લોકોને આકર્ષી રહ્યું છે. જેને જોવા માટે મોડી સાંજથી લઇને રાત સુધી લોકો રોડ પર ઉમટી પડે છે. જેના કારણે અકોટા દાંડિયા બજાર રોડથી લઇને અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. ગતરોજ શનિવારની સાંજ હોવાના કારણે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર લોકોનો મેળાવડો જામ્યો હતો. દરમિયાન ડમ્પરની અડફેટે ટુ વ્હીલર આવ્યું હતું. આ ટક્કરમાં ટુ વ્હીલર ડમ્પરના નીચે આવી ગયું હતું. ઘટનાને પગલે બે યુવકો અતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ટ્રાફિક પોલીસની કામગીરી સામે ભારે રોષ
બે પૈકી એક યુવક ધીર પટેલનો જન્મદિવસ હોવાનું જાણવા મળી રહ્યું છે. અને તે તેના મિત્ર જોડે લાઇટીંગ જોવા માટે રાત્રીના સમયે નીકળ્યો હતો. જો કે, ડમ્પર જોડે અકસ્માતની ઘટનામાં આ યુવકનું મોત નીપજ્યું છે. જેને પગલે ટ્રાફિક પોલીસની કામગીરી સામે ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સાથે જ પાલિકા દ્વારા કરેલી લાઇટીંગ જોવા ભેગી થતી ભીડના કારણે સર્જાતિ પરિસ્થિતી ડામવા માટે પણ માંગ કરવામાં આવી રહી છે. હવે ફરી કોઇ પરિવારનો દિવો ના બુઝાય તે માટે વહીવટી તંત્ર શું પગલાં લે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો ------ Surat: દિવાળી, છઠપૂજા અને બિહાર ઇલેક્શનને લઈ સ્ટેશન પર મુસાફરોનો ઘસારો


