VADODARA : ગ્રામ પંચાયતોની મનમાની પર રોક, સરકારી સહાયથી બનેલા મકાનોનો વેરો નક્કી કરતી સરકાર
- ગ્રામ પંચાયતો દ્વારા અત્યાર સુધી બેફામ વેરા ઉઘરાવાયા
- વાત સરકારના ધ્યાને આવતા વેરા ન્યુનત્તમ કરી દેવાયા
- આગામી ચાર વર્ષ સુધી ન્યુનત્તમ વેરો જ વસુલી શકાશે
VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં ગ્રામ્ય વિસ્તારોમાં નબળા વર્ગના લોકો માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારે આવાસની યોજનાઓ અમલમાં મુકી છે. ગરીબ પરિવારોને પોતાનું પાકું ઘર મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પરંતુ આ ઘર મળ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ઘરો અને આવાસના ઘરો પાસેથી વસુલવામાં આવતા વેરામાં બે ગણાથી લઇને 10 ગણા સુધીનો તફાવત હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને તાત્કાલિક અસરથી દૂર કરીને સરકારી સહાયથી બનેલા આવાસ માટેનો વેરો ન્યુનત્તમ કરવા માટેનો પરિપત્ર રાજ્ય સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ- વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ પરિપત્રના કારણે ગ્રામ પંચાયતો દ્વારા અત્યાર સુધીમાં વેરાના ઉંચી રકમની વસૂલાત પર રોક લાગશે.
તફાવતની રકમ બે ગણાથી લઇને 10 ગણા જેટલી થઇ જતી
ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ (PM AWAS - GRAMIN) આશિર્વાદ સમાન છે. પરંતુ આ આવાસમાં રહેતા લોકો પાસેથી ગ્રામ પંચાયત દ્વારા આકરણીના નામે મોટી રકમ લેવામાં આવતી હતી. તલાટીએ સ્વિકાર્યું કે, રૂ. 1.20 લાખની સહાયતા પ્રાપ્ત પરિવારો પાસેથી પંચાયત દ્વારા રૂ. 1,200 સુધીનો વેરો અત્યાર સુધી વસુલાતો હતો. બીજી તરફ આ વેરાની રકમ સામાન્ય ઘરો માટે ખુબ જ ઓછી હતી. સામાન્ય ઘરો અને પીએમ આવાસ યોજના - ગ્રામીણ પાસેથી વસૂલાતા વેરાના તફાવતની રકમ બે ગણાથી લઇને 10 ગણા જેટલી થઇ જતી હતી. આમ, પીએમ આવાસ યોજનામાં રહેતા પરિવારો પાસેથી ગ્રામ પંચાયત બેફામ વેરા વસુલતી હતી.
આ દરથી વધારે ગ્રામપંચાયત વસુલી શકશે નહીં
જો કે, આ વાત સરકારના ધ્યાને આવતા આ વિસંગતતા દૂર કરવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જે અનુસાર, હવે સરકારી સહાયથી બનેલા તમામ ઘરો માટે ન્યુનત્તમ દર વસુલવાનો રહેશે. ગ્રામપંચાયતની બદમાં સરકારી સહાયથી બનેલા આવાસોની ચાલુ આકરણીના સમયગાળાથી આગામી ચાર વર્ષ માટે આકરણી દર વાર્ષિક રૂ. 200 નક્કી કરવામાં આવે છે. આ દરથી વધારે ગ્રામપંચાયત વસુલી શકશે નહીં. ચાર વર્ષ બાદ રાજ્ય કક્ષાએથી સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી ફક્ત આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ઉપરોક્ત પ્રમાણે જ વેરાની વસુલાત કરવાની રહેશે.
એકસમાન કરી દેવામાં આવ્યો છે
આ અંગે તલાટીનું કહેવું છે કે, આકારણીને લઇને એક પરિપત્ર આવ્યો છે, પહેલા રૂ. 1.20 હજારની સહાયતા પ્રાપ્ત પરિવાર પાસેથી રૂ. 1,200 વેરો વસૂલવામાં આવતો હતો. અલગ અગ સહાયતા પ્રાપ્ત આવાસ ધારકો પાસેથી અલગ અલગ વેરો વસૂલવામાં આવતો હતો. જેને એકસમાન કરી દેવામાં આવ્યો છે. હવેથી નવા ઠરાવ અનુસાર વસૂલાત કરવામાં આવશે.
આ પણ વાંચો ---- ક્રિકેટર Yash Dayal સામે દુષ્કર્મનો વધુ એક કેસ દાખલ, IPL મેચ દરમિયાન પીડિતાને હોટલમાં બોલાવી હતી


