VADODARA : વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા
- ચોમાસાનો ફાયદો ઉઠાવીને ઔદ્યોગિક કચરાના નિકાલની આશંકા
- મકરપુરામાં વરસાદી ચેનલમાં રંગીન પાણી વહ્યું
- દર ચોમાસે ઉદ્યોગો બેફામ બનતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે
VADODARA : વડોદરા (VADODARA) શહેરના મકરપુરામાં જીઆઇડીસી (MAKARPURA GIDC) આવેલી છે. આ જીઆઇડીસી વિસ્તારમાં મોટા ભાગે એન્જિનિયરીંગ ક્ષેત્રે કામ કરતી કંપનીઓ આવેલી છે. તાજેતરમાં મકરપુરા જીઆઇડીસી વિસ્તાર નજીકથી પસાર થતી વરસાદી કાંસમાં જાંબુડીયા કલરનું રંગીન પાણી વહેતું જોવા મળ્યું હતું. જેને પગલે ઉદ્યોગો દ્વારા પ્રદુષિત કચરાનો કાંસમાં નિકાલ કરી દીધો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો કે, આ પહેલો કિસ્સો નથી, અગાઉ નંદેસરી જીઆઇડીસી પાસે આવેલી મીની નદીમાં લાલ રંગનું પ્રવાહી વહેતું જોવા મળ્યું હતું. દર ચોમાસામાં ઉદ્યોગો બેફિકર બનીને કેમિકલ યુક્ત પ્રદુષિત કચરાનો નિકાલ કરી દે છે. આ જોહુકમીને રોકવા માટે તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
જાંબુડિયા કલરનું પ્રવાહી વહ્યું
ચોમાસાની રુતુનો ફાયદો ઉદ્યોગો વધારે સારી રીતે ઉઠાવતા હોય છે. સામાન્ય સંજોગોમાં ઉદ્યોગો દ્વારા પ્રદુષિત કચરાનો સરળતાથી નજીકની વરસાદી ચેનલ અથવા તો અન્ય કોઇ માધ્યમમાં કરી દેવામાં આવતો હોય છે. આ પ્રકારનો સિલસિલો વર્ષોથી ચાલતો આવે છે. પરંતુ વહીવટી તંત્ર પાસે ઉદ્યોગોની આ પ્રકારની જોહુકમી રોકવા માટે કોઇ નક્કર ઉપાય નથી. જેને પગલે ખાસ કરીને દર ચોમાસામાં ઉદ્યોગો બેફામ બનતા રહે છે. તાજેતરમાં વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી વરસાદી કાંસમાં જાંબુડિયા કલરનું પ્રવાહી વહી રહ્યું હોવાનું જોવા મળ્યું હતું. આ પાછળ કોઇ ઉદ્યોગ દ્વારા પ્રદુષિત કચરાનો નિકાલ કરવામાં આવ્યો હોવાની આશંકા પ્રબળ બની છે.
કોઇક રીતે પર્યાવરણને જોખમી છે કે કેમ
આ સ્થળ નજીક જ મકરપુરા જીઆઇડીસી આવેલી છે. આ જીઆઇડીસીમાં નાના-મોટા એન્જિનિયરીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગો આવેલા છે. તેમાંથી જ કોઇકે પ્રદુષિત કચરાનો નિકાલ વરસાદી ચેનલમાં કર્યો હોવાની લોકચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે વરસાદી ચેનલમાં વહેતા પ્રવાહીનો રંગ આવો કેમ છે, અને તે કોઇક રીતે પર્યાવરણને જોખમી છે કે કેમ તે જાણવા, તથા તેના મૂળ સ્ત્રોત સુધી પહોંચવામાં જીપીસીબીને કેટલી સફળતા મળે છે તે જેવું રહ્યું.
આ પણ વાંચો --- Dahod : લીમખેડાની મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓની હાજરીમાં ઝેરી સાપનું રેસ્કયૂ કરાતા હોબાળો મચ્યો


