VADODARA : જર્જરિત ઓરડામાં જોખમ લઇને શિક્ષણ લેતા બાળકો
- વડોદરા જિલ્લાની જર્જરિત શાળાઓ અંગેના હુકમની અમલવારીમાં ધાંધિયા
- રૂપાપુરા પ્રાથમિક શાળામાં જીવના જોખમે ભણતા વિદ્યાર્થીઓ
- સામાજીક કાર્યકર લખન દરબારે ઉઠાવ્યો અવાજ
VADODARA : વડોદરા (VADODARA) ના નંદેસરીમાં આવેલા રૂપાપુરાની પ્રાથમિક શાળા (RUPAPURA PRIMARY SCHOOL - NANDESARI) ના ઓરડા ખખડધજ્જ હાલતમાં છે. આ શાળામાં ગમે ત્યારે કોઇ દુર્ઘટના થઇ શકે તેવી ભીતિ છે. ત્યારે શાળા છોડીને વિદ્યાર્થીઓ બહાર બેસીને ભણવા માટે મજબુર બન્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા (SOCIAL MEDIA - VIDEO) મારફતે સામે આવ્યો છે. આ વીડિયો અંગે સામાજીક કાર્યકર લખન દરબારે તીખી પ્રતિક્રિયા પણ આપી છે. જો કે, આ વચ્ચે જાણવા મળ્યું છે કે, જુન-2025 માં વડોદરા ગ્રામ્યમાં આવતી 69 જેટલી જર્જરિત શાળાના ઓરડા દુર કરવા માટેનો પરિપત્ર થયો હતો. તેમ છતાં આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.
કાટમાળની હરાજી કરી દેવા માટેનો ઉલ્લેખ
વડોદરા જિલ્લા શિક્ષણધિકારીની કચેરી દ્વારા જુન - 2025 માં એક હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. તે અનુસાર વડોદરા જિલ્લામાં આવતા ડેસર, વાઘોડિયા, વડોદરા તાલુકા, પાદરા તાલુકા, સાવલી તાલુકા, ડભોઇ તાલુકા, શિનોર તાલુકા અને કરજણ તાલુકાની મળીને કુલ 69 શાળાઓના ઓરડા જર્જરિત હોવાના કારણે તેના કાટમાળની હરાજી કરી દેવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે, આ પરિપત્ર એક મહિના બાદ પણ હકીકતમાં ના પરિણમ્યો હોવાનું સામે આવ્યું છે.
દુર્ઘટના સર્જાય તો તેની માટે જવાબદાર કોણ
તાજેતરમાં વડોદરાના વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલી નંદેસરીના રૂપાપુરાની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ઓટલા પર બેઠા હોવાનું જોવા મળ્યું છે. આ વીડિયો અંગે સામાજીક કાર્યકર લખન દરબારે ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, શાળા ખુબ જ જર્જરિત હાલતમાં છે. જો કોઇ દુર્ઘટના સર્જાય તો તેની માટે જવાબદાર કોણ, સાથે જ તેમણે આ અંગે ત્વરિત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ઉપયોગમાં લેવાતા હોય તો તપાસ કરવામાં આવશે
ઉપરોક્ત શાળાનો જર્જરિત ઓરડા ધરાવતી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના હુકમમાં ઉલ્લેખ છે. તે અનુસાર, આ ઓરડા દુર થઇ જવા જોઇએ. જો કે, તેમ થયું નથી. રૂપાપુરા પ્રાથમિક શાળાના 7 ઓરડાઓ જર્જરિત હોવાનો પણ તેમાં ઉલ્લેખ છે. હવે આ મામલે આગળ કેટલા સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. જો કે, આ અંગે DPEO મહેશ પાંડેનું કહેવું છે કે, ગંભીરા દુર્ઘટના બાદ જર્જરિત ઓરડાઓનો ઉપયોગ નહીં કરવા બાબતે આચાર્યો પાસેથી પ્રમાણપત્રો પણ એકત્રિત કરી દેવામાં આવ્યા છે. જો તેમ છતાંય ઉપયોગમાં લેવાતા હોય તો તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો ---- VADODARA : વાડી વિસ્તારમાં મંદિરના ટ્રસ્ટની જમીનમાં ઘૂસ મારનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી


