VADODARA : રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનનું ગભરામણ બાદ મોત
- ફરજ પર તૈનાત જવાનનુ ગભરામણ અને ઉલ્ટી થયા બાદ સારવાર દરમિયાન મોત
- આજે રથયાત્રા નિમિત્તે 38 વર્ષિય પોલીસ જવાનને ફરજ સોંપાઇ હતી
- પરિવારના બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
VADODARA : આજે દેશભરમાં રથમાં સવાર થઇને ભગવાન જગન્નાથજી તેમના પરિવાર સાથે નગરચર્યાએ (RATHYATRA - 2025) નીકળ્યા છે. વડોદરામાં 44 મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર કોઇ અનિચ્છનિય ઘટના ના સર્જાય તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. દરમિયાન બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનને ગભરામણની ફરિયાદ બાદ પોલીસ જવાનને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડીને હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.
રાવપુરા પોલીસ મથકમાં ફરજ સોંપવામાં આવી હતી
આજે બપોરે બે વાગ્યે રેલવે સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની 44 મી રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. આ રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન હાલમાં હરણી પોલીસ મથકમાં ફરજ બજાવદતા નરેશભાઇ હરજીભાઇ રાઠવાને રાવપુરા પોલીસ મથકમાં ફરજ સોંપવામાં આવી હતી. તેઓ ફરજ પર હતા તેવામાં રથયાત્રાના બંદોબસ્ત દરમિયાન તેમને અચાનક ગભરામણ થઇ હતી, અને તેબાદ ઉલ્ટી થઇ હતી. તબિયત લથડતા તુરંત તેઓને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રબળ સંભાવનાઓ
પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ જવાનને હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રબળ સંભાવનાઓ છે. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ એસએસજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હોસ્પિટલ પહોંચેલા મૃતકના પરિજનો શોકમાં ગરકાવ જોવા મળ્યા હતા.
આ પણ વાંચો --- VADODARA : બાળકીનો ભોગ લેનાર જોય ટ્રેનના ચાલક સામે આખરે નોંધાઇ ફરિયાદ


