ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી : ભાજપા સંસદીય બોર્ડની બેઠક, મોદી, શાહ-નડ્ડા હાજર, NDA ઉમેદવારની થઈ શકે જાહેરાત
નવી દિલ્હી : ભારતના ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભાજપના સંસદીય બોર્ડની બેઠક આજે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે ચાલી રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા હાજર છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) આજે ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવારના નામ પર મહોર મારી શકે છે. પસંદગી પામેલ ઉમેદવાર 21 ઓગસ્ટે નામાંકન દાખલ કરશે, જેમાં NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.
ચૂંટણીની તારીખો અને પ્રક્રિયા
ચૂંટણી આયોગે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે 7 ઓગસ્ટે અધિસૂચના જારી કરી હતી. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે, જ્યારે 25 ઓગસ્ટ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. મતદાન 9 સપ્ટેમ્બરે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી સંસદ ભવનમાં યોજાશે, અને તે જ દિવસે મતગણતરી થશે.
આ પણ વાંચો- “અમેરિકાના ટેરિફ વોર વચ્ચે PM મોદીનો સંદેશ : સ્વદેશી અપનાવો, મેક ઈન ઈન્ડિયાને મજબૂત કરો”
જગદીપ ધનખડનું અચાનક રાજીનામું
74 વર્ષીય જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે આરોગ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદેથી અચાનક રાજીનામું આપી દીધું હતું, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 23 જુલાઈએ સ્વીકાર્યું હતું. તેમનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધી હતો. રાજીનામાં પાછળ કેન્દ્ર સરકાર સાથે મતભેદો અને વિશ્વાસની ખોટનું કારણ પણ જણાવાયું છે, ખાસ કરીને ન્યાયમૂર્તિ યશવંત વર્માના મહાભિયોગ અંગેના મુદ્દે.
NDAની સંખ્યાબળની તાકાત
લોકસભામાં 542 સાંસદો (1 બેઠક ખાલી) અને રાજ્યસભામાં 245 સાંસદો (5 બેઠકો ખાલી) સાથે કુલ 781 સાંસદોનું નિર્વાચક મંડળ છે. NDA પાસે લોકસભામાં 293 અને રાજ્યસભામાં 129, એટલે કે કુલ 422 સાંસદોનું સમર્થન છે. બહુમતી માટે 391 સાંસદોની જરૂર છે, જેનાથી NDAની જીત નિશ્ચિત લાગે છે. 2022માં જગદીપ ધનખડને 528 વોટ મળ્યા હતા, જ્યારે વિપક્ષના માર્ગારેટ અલ્વાને 182 વોટ મળ્યા હતા.
આ પણ વાંચો-“શું આપણે કોઈની બહેન-દીકરીના CCTV ફૂટેજ શેર કરવા જોઈએ? રાહુલના આરોપો પર ચૂંટણી પંચનો સવાલ”
થાવરચંદ ગેહલોત મુખ્ય દાવેદાર
ભાજપ પોતાની વિચારધારા પ્રત્યે સમર્પિત અને અનુભવી નેતાને ઉમેદવાર બનાવવા માંગે છે. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત (77) મુખ્ય દાવેદાર મનાય છે. તેઓ રાજ્યસભામાં નેતા, કેન્દ્રીય મંત્રી અને ભાજપના સંસદીય બોર્ડના સભ્ય રહી ચૂક્યા છે. દલિત સમુદાયમાંથી આવતા હોવાથી તેઓ જાતિગત સમીકરણોમાં પણ ફિટ બેસે છે. તેમનો મધ્યપ્રદેશનો પ્રશાસનિક અનુભવ પણ વત્તો બનશે.
ઓમ માથુરનું નામ પણ ચર્ચામાં
સિક્કિમના રાજ્યપાલ ઓમ માથુર (73) પણ દાવેદારોમાં છે. રાજસ્થાનના આ કદાવર નેતા ગુજરાતમાં મોદીના મુખ્યમંત્રી કાળ દરમિયાન ચૂંટણી પ્રબંધનમાં સામેલ હતા. તેઓ RSSના પ્રચારક રહી ચૂક્યા છે અને અમિત શાહના નજીકના મનાય છે.
હરિવંશ વિકલ્પ તરીકે
જો ગેહલોત કે માથુર પર સહમતિ ન બને તો રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ (69) વિકલ્પ તરીકે ઉભરી શકે છે. બિહારથી JDUના રાજ્યસભા સાંસદ અને પૂર્વ પત્રકાર હરિવંશ બિહારના રાજકીય સમીકરણોમાં મહત્વના છે.
વિપક્ષની તૈયારી
INDIA ગઠબંધન પણ સંયુક્ત ઉમેદવાર ઉભો કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 18 ઓગસ્ટે વિપક્ષી નેતાઓ સાથે બેઠક યોજી રહ્યા છે. જોકે, NDAનું સંખ્યાબળ વિપક્ષ કરતાં મજબૂત છે, જેનાથી તેમના ઉમેદવારની જીત નિશ્ચિત લાગે છે.
આ પણ વાંચો- ‘7 દિવસમાં સોંગદનામું આપો અથવા દેશની માફી માંગો’, રાહુલ ગાંધી CEC જ્ઞાનેશ કુમારનું રાહુલ ગાંધી પર નિશાન


