'સરકારો પાસે મફત યોજનાઓ માટે અઢળક પૈસા, પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નથી': સુપ્રીમ કોર્ટ
- સુપ્રીમ કોર્ટે સરકારોના વલણ પર નિરાશા વ્યક્ત કરી
- ન્યાયાધીશોના ઓછા પગાર અને નિવૃત્તિ પછી યોગ્ય પેન્શન ન મળવાથી કોર્ટ નારાજ
- સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદદ કરવા માટે વરિષ્ઠ વકીલ કે પરમેશ્વરને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા
Supreme Court: 2015માં દાખલ કરાયેલી આ અરજીમાં ન્યાયાધીશોના ઓછા પગાર અને નિવૃત્તિ પછી યોગ્ય પેન્શન ન મળવાની વાત કહેવામાં આવી છે. સમગ્ર દેશમાં આ બાબતે એકસમાન નીતિ ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સરકારોના વલણ પર નિરાશા વ્યક્ત કરી
સુપ્રીમ કોર્ટે જિલ્લા અદાલતના ન્યાયાધીશોના પગાર અને પેન્શનને લઈને સરકારોના વલણ પર નિરાશા વ્યક્ત કરી છે. તમામ રાજ્ય સરકારો દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતા નાણાં તરફ ઈશારો કરતાં કોર્ટે કહ્યું, "તમારી પાસે એવા લોકો માટે પૈસા છે જેઓ કોઈ કામ કરતા નથી. જ્યારે ન્યાયાધીશોના પગાર અને પેન્શનનો પ્રશ્ન આવે છે, ત્યારે તેઓ નાણાકીય સમસ્યાઓનો ઉલ્લેખ કરવાનું શરૂ કરે છે."
ઓલ ઈન્ડિયા જજ એસોસિએશનની અરજી
ઓલ ઈન્ડિયા જજ એસોસિએશન નામના સંગઠન દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈના નેતૃત્વ હેઠળની બેંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવી રહેલી જાહેરાતો અંગે ચર્ચા કરી હતી. કોર્ટે કહ્યું, "ચૂંટણી આવતાં જ લાડલી બેહન જેવી યોજનાઓની જાહેરાત શરૂ થઈ જાય છે, જ્યાં એવું કહેવામાં આવે છે કે, લાભાર્થીઓને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવશે. દિલ્હીમાં પાર્ટીઓ સત્તામાં પર આવ્યા બાદ દરેકને 2500 રૂપિયા આપવાનું વચન આપે છે.
આ પણ વાંચો : CM સ્ટાલિને કેન્દ્રના બીજા નિર્ણયનો પણ કર્યો વિરોધ, કહ્યું- UGCનો નવો નિયમ સ્વીકાર્ય નથી
'મફત એ કામચલાઉ વ્યવસ્થા છે' - કેન્દ્ર સરકાર
2015માં દાખલ કરાયેલી આ અરજીમાં ન્યાયાધીશોના ઓછા પગાર અને નિવૃત્તિ પછી યોગ્ય પેન્શન ન મળવાની વાત કહેવામાં આવી છે. સમગ્ર દેશમાં આ બાબતે એકસમાન નીતિ ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદદ કરવા માટે વરિષ્ઠ વકીલ કે પરમેશ્વરને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે, સરકારો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ (મફત યોજનાઓ) અસ્થાયી વ્યવસ્થા છે. પગાર અને પેન્શનમાં વધારો એ કાયમી બાબત છે. આવક પર તેની અસર ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે.
'હવે સુનાવણી મોકૂફ રાખવામાં આવશે નહીં'- સુપ્રીમ કોર્ટ
એટર્ની જનરલે જસ્ટિસ ગવાઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બે સભ્યોની બેન્ચને કહ્યું કે, કેન્દ્ર સરકાર એક નોટિફિકેશન લાવવા પર વિચાર કરી રહી છે, જે અરજીમાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરશે. આના પર ન્યાયાધીશોએ કહ્યું કે, જો સરકાર ભવિષ્યમાં આવું કરે છે તો તેને તેની જાણ કરવી જોઈએ. આ કેસ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી તેની સુનાવણી હવે મુલતવી રાખવામાં આવશે નહીં.
આ પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય, રાજઘાટમાં બનશે પ્રણવ મુખર્જીની સમાધિ; જમીનને ચિહ્નિત કરવાની મંજૂરી


