Shala Praveshotsav-2025: સમગ્ર રાજ્યમાં ‘શાળા પ્રવેશોત્સવ’ આગામી તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે
- Shala Praveshotsav-2025 : રાજ્યમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ‘શાળા પ્રવેશોત્સવ’ આગામી તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel)
----- - સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી અને સિનિયર મંત્રીશ્રીઓ સહિત આશરે ૪૦૦ જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે
----- - શાળામાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ દર શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ધોરણ-૧ થી ૫માં ૧.૦૭ ટકા અને ધોરણ-૧ થી ૮માં ૨.૪૨ ટકા જેટલો નીચો આવ્યો
-----
Shala Praveshotsav-2025 : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક્માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતિ આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે Rushikesh Patel જણાવ્યું હતું કે, રાજ્યમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે.
રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, સરકારી અને અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તા. ૨૬ જૂનના રોજ મહીસાગર જિલ્લામાં, તા. ૨૭ જૂનના રોજ ગાંધીનગર અને તા. ૨૮ જૂનના રોજ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સિનિયર મંત્રીશ્રીઓ સહિત આશરે ૪૦૦ જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ડ્રોપઆઉટ દર નીચો આવ્યો
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના સફળ અમલીકરણના પરિણામે શાળામાં નામાંકિત થયેલા વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ Dropout દર જે વર્ષ ૨૦૦૧-૦૨માં ધોરણ-૧ થી ૫માં ૨૦.૫૦ ટકા અને ધોરણ-૧ થી ૮ માં ૩૭.૨૨ ટકા હતો તે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ક્રમશઃ ધોરણ-૧ થી ૫માં ૧.૦૭ ટકા અને ધોરણ-૧ થી ૮માં ૨.૪૨ ટકા જેટલો નીચો લાવી શકાયો છે. આમ, રાજયમાં પ્રવેશોત્સવ કાર્યક્રમના પરિણામે છેલ્લા બે દાયકામાં પ્રાથમિક શિક્ષણમાં નામાંકન દર વધારવા તથા ડ્રોપઆઉટ દર ઘટાડવા ક્ષેત્રે ખુબ સારી સફળતા મળી છે. તેવી જ રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ દર ઘટાડવા માટે આ વખતના પ્રવેશોત્સવ(Shala Praveshotsav)માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યુ કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન બળકોને આંગણવાડી, બાલવાટિકા તથા ગત વર્ષે બાલવાટિકામાં પ્રવેશ ન મેળવેલ બાળકોને ધોરણ-૧માં તેમજ ધોરણ-૯માં અને ધોરણ-૧૧માં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવશે. Shala Praveshotsav-પ્રવેશોત્સવ દરમિયાન પદાધિકારીશ્રી અને અધિકારીશ્રીઓ દ્વારા શાળા મુલાકાતના કાર્યક્રમની વિગતવાર રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં પ્રવેશોત્સવની ઉજવણી
ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના દરેક દિવસે શાળાઓમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોને એક પ્રાથમિક અને બે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાળવણી કરવામાં આવી છે. જો માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પુરતી સંખ્યામાં ના હોય તો તે જ તાલુકાની જ્ઞાનશક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ્સ અને રક્ષા શક્તિ સ્કૂલ્સની પસંદગી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ ઉપરાંત રથયાત્રા તથા કચ્છી નૂતનવર્ષના તહેવારને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ હોય તેવા વિસ્તારોમાં અને કચ્છ જિલ્લામાં પ્રવેશોત્સવની ઉજવણી તા. ૨૬ અને ૨૮ જૂનના રોજ કરવામાં આવશે.
વધુમાં, તેમણે જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણક્ષેત્રે વર્ષ ૨૦૧૯-૨૦થી ધોરણ-૧માં અને વર્ષ ૨૦૨૩-૨૪થી બાલવાટિકામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકની ઓળખ, ટ્રેકિંગ અને નામાંકન સુનિશ્ચિત કરવા રાજ્યના આરોગ્ય વિભાગના જન્મ તથા રસીકરણના ડેટાને શિક્ષણ વિભાગની Child Tracking System ચાઈલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ-CTS સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો છે. જેના પરિણામે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને સ્થળાંતરિત થતાં માતાપિતાના બાળકોના પણ સઘન ટ્રેકિંગ દ્વારા લગભગ ૧૦૦ ટકા નામાંકન શક્ય બન્યું છે.
આ ઉપરાંત Artificial Intelligence-AIના ઉપયોગથી વિદ્યા સમીક્ષા કેન્દ્રના વિવિધ ડેટાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીના સંભવિત ડ્રોપઆઉટ થવાની શક્યતાના કિસ્સામાં તેવા બાળકો અને તેમના વાલીઓને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આમંત્રિત કરીને બાળકના વિકાસ અને પ્રગતિ માટે શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું કેટલું અગત્યનું છે તેની સમજ પણ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ પણ વાંચો : Rain in Gujarat : અરવલ્લીમાં આભ ફાટ્યું! 400 વીઘા ખેતરોમાં પાણી જ પાણી


