21

વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસે એક મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોને જ ધ્યાનમાં રાખવામાં આવે છે અને કમિટીમાં સ્થાન મળે છે, તે વકરેલા વિવાદ બાદ જવાબદારી અને તાકાતનું વિભાજન કરવા એક વ્યક્તિ એક હોદ્દાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસમાં હાલ સંગઠનની અટકી પડેલી જાહેરાતોને લઈ પ્રભારી અને પ્રમુખે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ત્યારે સંગઠનમાં જે વ્યક્તિને સ્થાન આપવામાં આવશે તે વ્યક્તિ વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે. સાથે જ વિસ્તારના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ પણ સંગઠનના વ્યક્તિને કરવાના રહેશે. જે રીતે પ્રદેશ પ્રમુખ બનતા પહેલા જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવાની વાતનો હાઇકમાન્ડ સમક્ષ સ્વીકાર કર્યો હતો. તે જ પ્રકારે જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ પણ વિધાનસભાની ચૂંટણી નહીં લડી શકે.
આ નિર્ણય આવનારી વિધાનસભાની ચૂંટણી પૂરતો જ સીમિત રહેશે તે અંગે પણ પ્રમુખ અને પ્રભારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં સંગઠનની જાહેરાતો બાદ કોઈ વિવાદ ન થાય તે માટે જ ગુજરાત કોંગ્રેસે અગાઉથી જ તૈયારીઓ કરી લીધી છે તેમાં કોઈ અતિશ્યોક્તિ નથી.