Rajiv Gandhi birth anniversary : પૂર્વ PM રાજીવ ગાંધીની આજે જન્મ જયંતી
Rajiv Gandhi birth anniversary : આજે, 20 ઑગસ્ટે, દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ છે. 20 ઑગસ્ટ 1944ના રોજ મુંબઈમાં જન્મેલા રાજીવ ગાંધી, ભારતની રાજનીતિના એવાં અધ્યાય છે જેમણે યુવા ઉંમરે વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ સંભાળ્યું. તેમનો જન્મ એવા સમયમાં થયો હતો જ્યારે ભારત સ્વતંત્રતા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું. તેમના દાદા પંડિત જવાહરલાલ નહેરુ એ સમયે બ્રિટિશ શાસકોની જેલમાં તેમની 9મી સજા ભોગવી રહ્યા હતા. માતા ઇન્દિરા ગાંધી થોડા સમય પહેલાં જ જેલમાંથી મુક્ત થયા હતા, જ્યારે પિતા ફિરોઝ ગાંધી પણ થોડા વર્ષો પહેલાં જ જેલમાંથી બહાર આવ્યા હતા. આ રીતે રાજીવ ગાંધીનું બાળપણ સીધું સ્વતંત્રતા આંદોલનના પ્રભાવ સાથે જોડાયેલું હતું.
કેટલો કર્યો અભ્યાસ?
રાજીવ ગાંધીનું બાળપણ તીન મૂર્તિ હાઉસમાં તેમના દાદા નહેરુ સાથે વિતાવ્યું, જ્યાં તેમણે રાજકીય વાતાવરણ નજીકથી અનુભવ્યું. શરૂઆતમાં તેઓ દહેરાદૂનની વેલ્હામ સ્કૂલમાં ભણ્યા, પરંતુ ટૂંક સમયમાં જ દૂન સ્કૂલમાં મોકલાયા, જે હિમાલયની તળેટીમાં આવેલું પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન છે. ત્યાંથી તેમના શિક્ષણનો મજબૂત પાયો રચાયો હતો. શાળા પૂર્ણ કર્યા બાદ, રાજીવ ગાંધીને વિદેશી શિક્ષણ માટે મોકલવામાં આવ્યા. જ્યા તેઓ પ્રથમ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં ગયા, પરંતુ અભ્યાસ અધવચ્ચે છોડીને લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં પ્રવેશ લીધો. ત્યાં તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનું અભ્યાસ શરૂ કર્યું. એવું કહેવાય છે કે, રાજીવ ગાંધી રાજનીતિમાં મૂળ રૂપે પ્રવેશવા માંગતા નહોતા, પરંતુ પરિસ્થિતિએ તેમને જાહેરજીવનમાં ધકેલ્યા. તેઓ પછી ભારતના સૌથી યુવા વડાપ્રધાન બન્યા અને દેશને આધુનિક ટેકનોલોજી તથા કમ્પ્યુટરીકરણના નવા યુગમાં પ્રવેશ અપાવ્યો. તેમની જન્મજયંતિ એ માત્ર એક રાજકીય સ્મરણ નથી, પરંતુ તે યુવા નેતૃત્વ, આધુનિક વિચારસરણી અને નવા ભારતના વિઝનની યાદ અપાવે છે.
આ પણ વાંચો : પોલીસ બંદોબસ્ત વચ્ચે CM Rekha Gupta પર હુમલાએ ઘણા સવાલો કર્યા ઉભા!


