ઝડપી ન્યાયિક પ્રક્રિયા આમજ શરુ રહેશે તો ટૂંક સમયમાં સ્ત્રી સલામતીની દિશામાં આગળ વધીશું
દહેજના અને પતિના માનસિક અને શારીરિક ત્રાસથી હારી-થાકીને અમદાવાદના વટવા વિસ્તારની બહેન ગત ૨૫મી ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરીને પોતાની દુઃખી જિંદગીનો અંત લાવ્યો જે ઘટના માત્ર અમદાવાદની જ નહીં પણ સમગ્ર ગુજરાતને એક આંચકો આપ્યો હતો.આજે આપણને એ વાતનો સંતોષ છે કે માત્ર ૧૪ મહિનામાં ન્યાયાલય આયેશાના આત્મહત્યાના કેસની ઝડપી સુનાવણી કરીને પક્ષને પ્રતિપક્ષની બધી જ à
Advertisement
દહેજના અને પતિના માનસિક અને શારીરિક ત્રાસથી હારી-થાકીને અમદાવાદના વટવા વિસ્તારની બહેન ગત ૨૫મી ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરીને પોતાની દુઃખી જિંદગીનો અંત લાવ્યો જે ઘટના માત્ર અમદાવાદની જ નહીં પણ સમગ્ર ગુજરાતને એક આંચકો આપ્યો હતો.
આજે આપણને એ વાતનો સંતોષ છે કે માત્ર ૧૪ મહિનામાં ન્યાયાલય આયેશાના આત્મહત્યાના કેસની ઝડપી સુનાવણી કરીને પક્ષને પ્રતિપક્ષની બધી જ દલીલો તથા ૩૦ જેટલા સાક્ષીઓની ઉલટ તપાસ કરીને તત્કાલ ન્યાય આપવામાં જે ઉત્સુકતા બતાવી છે તે માટે આપણે આપણા ન્યાયાલયને અને એની સાથે જોડાયેલા તમામ વકીલો સહિતના સહુ કોઈને અભિનંદન આપીએ છીએ.
અગાઉના સમયમાં સ્ત્રીઓ પરના આવા અત્યાચારોના કોર્ટમાં જતા કેસીસ વર્ષોના વર્ષો સુધી ચાલ્યા કરતા હતા અને જેને કારણે ગુનેગાર નિશ્ચિંત થઈને જીવન જીવતા હતા અથવા તો બીજા ગુનાઓ કરવા તરફ પ્રેરાતા હતા.
હમણાં હમણાં ન્યાયાલય સ્ત્રીઓ ઉપરના અત્યાચારોના કેસમાં ખૂબ ઝડપથી ન્યાય પ્રક્રિયા પૂરી કરીને ગુનેગારને સજા કરવામાં જે કાબિલેદાદ ટૂંકા સમયમાં નિર્ણય લેવાની પ્રક્રિયા પુરવાર કરી છે તે સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારોને રોકવામાં ખૂબ મોટું પરિબળ બનશે એવી આશા બંધાઈ છે.
મૃત્યુ પૂર્વે આયશાએ બોલતો પુરાવો જે મુક્યો હતો તેને ન્યાયાલય મરણોન્મુખ કબૂલાત તરીકે સ્વીકારીને જે ઉત્તમ કામ કર્યું છે તેને તો શબ્દોમાં મૂકી શકાય એમ નથી. પણ આ સમગ્ર 14 મહિનાની પ્રક્રિયામાં માનવતાથી મહેકતો એક બીજો પ્રસંગ પણ આપણે ન ભુલવો જોઈએ.
આયેશાના આપઘાત પછી જ્યારે ફરિયાદીએ કોર્ટમાં જવાનું નક્કી કર્યું ત્યારે કેસ લડવા માટે એડવોકેટે આયશાના પિતાને એવો પ્રસ્તાવ આપ્યો કે જો તમે ઈચ્છો તો આયશોનો કેસ હું એક પણ પૈસો લીધા વિના લડવા માટે તમારી પડખે છું. સામાન્ય રીતે વકીલ પાસેથી આવા પ્રકારના વર્તનની અપેક્ષા હોતી નથી. જ્યારે એડવોકેટ સામે ચાલીને સરકારી વકીલ સાથે રહીને આયશાને જેમ બને તેમ જલ્દી સાચો ન્યાય મળે અને તેને આત્મહત્યા કરવા મજબૂર કરનારા તેના પતિને યોગ્ય શિક્ષા થાય તે માટે જે માનવતાપૂર્ણ રીતે કાયદાકીય કાર્યવાહીમાં આયેશાના પરિવારની પડખે ઊભા રહેવાનું અને એ રીતે ન્યાયના પડખે ઊભા રહેવાનું કામ કરીને સમસ્ત વકીલો માટેનું એક આદર્શ ઉદાહરણ પણ બન્યા છે.
આ તકે આપણા ન્યાયતંત્ર અને એડવોકેટ સહિત તમામ વકીલોને અને યોગ્ય નિર્ણય પર પહોંચવામાં અદાલતની મદદે આવનારા 23 સાક્ષીઓને પણ આપણે હૃદય પૂર્વક અભિનંદન આપવા જોઈએ. સ્ત્રીઓ ઉપરના અત્યાચારોની આ રીતે ઝડપી ન્યાયિક પ્રક્રિયાઓનો સિલસિલો જો જારી રહેશે તો આવનારા સમયમાં સ્ત્રી સલામતીની દિશામાં આપણે વધારે સકારાત્મક રીતે આગળ વધી શકીશું.


