Ahmedabad : મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ મહિલાનું મહાદાન! સિવિલ હોસ્પિ.માં 180 મું અંગદાન
- Ahmedabad માં મહિલા દિવસે પત્ની અને પરિવારે લીધો સંવેદનશીલ નિર્ણય
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ પતિનાં અંગોનું દાન કર્યું
- હૃદય, એક લીવર અને બંને કિડનીનું દાન કરવામાં આવ્યું
Ahmedabad : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Women's Day) પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દિવસનાં સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો જોવા મળ્યો છે. પતિ મોહનલાલ સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પત્ની બબલીદેવીએ પતિનાં તમામ અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો - મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટે અમિત શાહ પહોંચ્યા સૌરાષ્ટ્ર
માથાની ગંભીર ઇજા થતાં મોહનલાલ યાદવને હેમરેજ થયું હતું
સમગ્ર વિગતો એવી છે કે, 51 વર્ષનાં મૂળ રાજસ્થાનનાં ડુંગરપુરનાં વતની અને નિકોલ, અમદાવાદ (Ahmedabad) ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા મોહનલાલ યાદવને ફેક્ટરીમાં કામ કરતા 26 ફેબ્રુઆરી 2025 ના રોજ માથાનાં ભાગે ઇજા થઇ હતી. માથાની ગંભીર ઇજાનાં કારણે હેમરેજ થયું, જેથી સારવાર અર્થે પ્રથમ નિકોલની ખાનગી હોસ્પિટલ, ત્યારબાદ GCS હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. પરંતુ, સ્થિતિ ગંભીર બનતાં તેઓને સઘન સારવાર અર્થે 4 માર્ચ, 2025 ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) લાવવામા આવ્યા હતા. અહીં, સારવાર દરમિયાન 7 માર્ચ, 2025 ના રોજ તબીબોએ મોહનલાલને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સિવિલમાં કુલ 108 અંગદાનથી 587 અંગોનું દાન, 569 દર્દીને નવજીવન
મૃતક મોહનલાલના પત્ની બબલીદેવી તથા તેમના બે દીકરા નિલેશભાઇ અને જયેશભાઇ તેમ જ દીકરી ભારતીબેનને તબીબોએ અંગદાન વિશે સમજાવતા પત્ની તેમ જ ત્રણ બાળકોએ સાથે મળી મોહનલાલની આ પરિસ્થિતિમાં તેમના અંગોનું દાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, 180 માં અંગદાન થકી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) દ્વારા અત્યાર સુધીમાં કુલ 587 અંગોનું દાન મળેલ છે, જેના થકી 569 વ્યકિતઓને જીવનદાન મળ્યું છે. 180 માં અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલનાં જરુરિયાત્મંદ દર્દીઓમાં તેમ જ હ્રદયને ગ્રીનકોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આમ, આ અંગદાનથી કુલ 4 લોકોને નવજીવન આપવામાં સફળતા મળશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અહેવાલ : સંજય જોશી, અમદાવાદ
આ પણ વાંચો - રાહુલ ગાંધીએ ગુજરાતની નેતાગીરી પર ઉઠાવ્યા સવાલ, પાર્ટીમાં વિભિષણ હોવાના સંકેત આપ્યા!


