અહેવાલ- નામદેવ પાટીલ, પંચમહાલ
ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી ત્રણ રહેણાંક સોસાયટીમા વરસાદી પાણીના નિકાલના અભાવે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા કેટલાક દિવસથી રહીશોએ આ સમસ્યાના નિકાલ અંગે અનેક રજૂઆત કર્યા બાદ પણ આજ દિન સુધી પરિણામ મળ્યું નથી જેથી અહીંના રહીશો હાલ કફોડી સ્થિતિમાં બીમારીમાં લપેટાઇ જવાની દહેશત વચ્ચે જીવન વ્યતિત કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક રહેણાંક મકાનોમાં ઝેરી જાનવર ઘૂસી જવાની ઘટનાઓ પણ સામે આવી છે જેના કારણે વરસાદી પાણી મકાનોમાં ઘૂસી ના જાય એ માટે કેટલાક રહીશોએ પોતાના મકાનના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ બે ફૂટ ઊંચાઈ સુધીના પથ્થરો પણ ફીટ કરાવી આ સમસ્યામાંથી હલ મેળવવાનો પ્રયાસ કર્યો છે. અહીંના રહીશોની વરસાદી પાણીના યોગ્ય નિકાલની સત્વરે કામગીરી કરવામાં આવે માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે અહીંયા હિંગળાજ માતાજીનું મંદિર અને વૃદ્ધાશ્રમ પણ આવેલા છે જ્યાં અવરજવર કરતાં સૌને પણ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શાળામાં અવરજવર કરવાની પણ ખૂબ જ તકલીફ પડી રહી છે અને પાણીમાં માર્ગ ઉપર જામેલી લીલ થી રાહદારીઓ પટકાઈ રહ્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
સોસાયટીમાં વરસાદી પાણી નિકાલ ન થતાં રહીશોમાં રોષ
ગોધરા શહેરના વાવડી બુજર્ગ વિસ્તારમાં આવેલા બાપુનગર, ઉત્સવ પાર્ક અને સિદ્ધિવિનાયક સોસાયટીના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે જમાવડો થઇ રહ્યો છે જેથી અહીંના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અહીંના રહીશો દ્વારા આ અંગે સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત આવેદનપત્ર આપી પણ વરસાદી પાણીના સમસ્યા નિકાલની માંગણી વારંવાર કરવામાં આવી હોવા છતાં સંલગ્ન વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેના કારણે અહીંના સ્થાનિક રહીશોની માંગણી ને લઈ આજ દિન સુધી કોઈ જ પરિણામ મળ્યું નથી જેના કારણે હાલ પણ અહીંના રહીશો રોગચાળાની ભીતિ વચ્ચે જીવન વ્યતિત કરી રહ્યા છે.
રહીશોએ અનેકવાર નગરપાલિકાને કરી રજૂઆત
રહીશોના જણાવ્યા અનુસાર અહીં ઉપરવાસ વિભાગમાં આવેલી સોસાયટીઓનું વરસાદી પાણી તેમજ કનેલાવ તળાવ માંથી સતત પાણી આવી રહ્યું છે જે અમારી સોસાયટી માંથી આગળ નિકાલ નહીં હોવાના કારણે ચોમાસા દરમિયાન સોસાયટીમાં જ એકત્રિત થઈ જતું હોય છે. અંદાજિત એક થી દોઢ ફૂટ પાણી સતત માર્ગો ઉપર ભરેલું રહેતા અહીં માર્ગો ઉપર લીલનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે સાથે જ અહીં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. અહીં વારંવાર ઝેરી જાનવર પણ પાણીમાં આવી જતાં હોય છે અને જે રહેણાંક મકાનોમાં ઘૂસી જવાની ઘટનાઓ પણ બની ચૂકી છે જેથી અહીંના રહીશો સતત રોગચાળાની દહેશત સાથે પોતાના નાના બાળકોને કરડવાની ચિંતા વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે. વહેલી તકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ગોધરા નગરપાલિકા અથવા વાવડી ગ્રામ પંચાયતના સંલગ્ન જવાબદારો દ્વારા કરવામાં આવે એવી માંગણી ઉઠી છે.
રહીશોમાં રોગચાળાનો ભય
સમગ્ર મુશ્કેલીને લઈ સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે,અમારી સોસાયટીમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન વરસાદી પાણીના નિકાલના અભાવે સોસાયટીના માર્ગો ઉપર પાણી ભરેલું રહે છે અને જેથી અમારા બાળકો જ્યારે વધુ વરસાદ હોય ત્યારે શાળામાં પણ જઈ શકતા નથી. રહીશો પણ વારંવાર માર્ગો પર લીલનું સામ્રાજ્ય છવાયેલું હોવાથી લપસી જવાની ઘટનાઓ બની રહી છે .આ અંગે અનેકવાર રજૂઆતો કર્યા પછી પણ વરસાદી પાણી નિકાલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી જેથી અમે નર્કાગાર સ્થિતિમાં હાલ જીવન જીવી રહ્યા છીએ.
બાપુ નગર સોસાયટીમાં ભરાયા પાણી
ગોધરાના વાવડી બુઝુર્ગના બાપુ નગર સોસાયટીમાં હિંગળાજ માતાનું મંદિર આવેલું છે.આ ઉપરાંત અહીં વૃદ્ધાશ્રમ પણ આવેલો છે જેથી સોસાયટીના માર્ગ ઉપર સતત અવરજવર રહેતી હોય છે પરંતુ અહીં વરસાદી પાણી ભરેલું હોવાથી રાહદારીઓને વાહન ચાલકોને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.ચોમાસા દરમિયાન જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે અમારા બાળકો શાળામાં જઈ શકતા નથી તેમજ અમે પણ કેટલાય દિવસો સુધી ઘરની બહાર નીકળી શકતા નથી આ ઉપરાંત અમારે ત્યાં મકાનમાં સાપ ઘૂસી જવાની ઘટનાઓ પણ બની ચૂકી છે જેથી અમારા બાળકોને ઝેરી જાનવર ડંખ મારી જવાની પણ સતત બીક અમને લાગી રહી છે.
વાવડી બુઝુર્ગ ગોધરા નગરપાલિકા વિસ્તારમાં છે કે વાવડી બુઝર્ગ ગ્રામ પંચાયત વિસ્તારમાં જે અંગેનો સ્થાનિકોને ખ્યાલ નથી આવતો. અગાઉ આ સોસાયટી વાવડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ હતી પરંતુ જેના બાદ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ થઈ હતી પરંતુ નગરપાલિકા અને ગ્રામ પંચાયત વચ્ચેની સરકારી કાયદાકીય ગુંચ વચ્ચે હાલ સોસાયટીના રહીશો ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી સરકાર પાસે સ્થાનિક રહીશો એક જ માંગણી કરી રહ્યા છે કે સોસાયટીમાં ભરાયેલો વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી આપવામાં આવે .
આ પણ વાંચો-હત્યા કેસમાં છેલ્લા 17 વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે આંધ્રપ્રદેશથી ઝડપી લીધો