અહેવાલઃ ભાસ્કર જોશી, મોરબી
બિપરજોય વાવાઝોડું કચ્છના જખૌ તટની દિશામાં સતત આગળ વધી રહ્યું છે અને દરિયાકાંઠા ઉપરાંત મોરબી જેવા જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે. મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે દિવસથી આ વાવાઝોડાની અસરે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે. ત્યારે સોખડા ગ્રામપંચાયત દ્વારા અનોખી રીતે વાવાઝોડાને લઈ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં સોખડા ગ્રામપંચાયત દ્વારા ઢોલ વગાડી લોકોને આજે અને કાલે વાવાઝોડાની આગાહી હોવાથી ઘરની બહાર ન નીકળવા અને જોખમી પતરા ઉતારી લેવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
મહત્વપૂર્ણ છે કે બિપરજોય વાવાઝોડું 15મી જૂનની સાંજે જખૌ બંદર પાસેથી પસાર થશે. ૧૫ જૂન સાંજ સુધીમાં વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થશે.આ કારણે રાજ્યમાં તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાત પહોંચતા તેની અસરના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે અને તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન પવનની ગતિ 120-130 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. હવામાન વિભાગે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગને વાવાઝોડું લેન્ડફોલ થવાના ચોક્કસ સમય જણાવવાનું ટાળ્યું હતું પરંતુ સાંજના સમયે એટલે કે 4-8નો સમય સાંજનો હોય છે અને આ સમય દરમિયાન વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરાઈ શકે છે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે એ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી પણ ડૉ. મોહંતી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેની ગતિ 120-130 kmph રહી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોનો પણ સમાવેશ થાય છે.