VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં યોગ નિકેતન ચાર રસ્તા પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયાને આજે પાંચ દિવસ જેટલો સમયગાળો વિતી ગયો છે. છતાં હજી સુધી આનું કોઇ સોલ્યુશન આવ્યું નથી. જેને લઇને લોકોમાં પાલિકા તંત્રની બેદરકારી સામે રોષની લાગણી જોવા મળી રહી છે. એક તરફ પીવા લાયક પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. તો બીજી તરફ અનેક વિસ્તારોમાં રહેતા શહેરીજનોને પાલિકા તંત્ર પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થયું છે.
લોકો સુધી પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ
વડોદરાનો વિકાસ સ્માર્ટ સિટીની તર્જ પર કરવામાં આવી રહ્યો છે. પરંતુ તંત્ર કેટલું સ્માર્ટ છે તે સૌ કોઇ નાગરીકો જાણે જ છે. શહેરીજનોનો સારી રોડ રસ્તાની સુવિધા આપવાની હોય કે પછી પાણી પહોંચાડવાનું હોય, પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ વાતના પુરાવા સમયે સમયે સામે આવતા રહે છે. તાજેતરમા શહેરના ફતેગંજ વિસ્તારમાં યોગ નિકેતન ચાર રસ્તા પાસે પાણીની લાઇનનું લિકેજ શોધવા ખોદકામ કરવામાં આવ્યું હતુ. આશરે પાંચ દિવસ પહેલાથી અહિંયાથી હજારો લિટર પાણી નજીકની ગટરમાં વહી ગયું હતું.
ત્રણ-ચાર દિવસમાં સમસ્યાનો ઉકેલ આવશે
આ ઘટના સામાજીક કાર્યકર અને મીડિયા દ્વારા અનેક વખત ઉજાગર કરવામાં આવ્યા બાદ પણ આજદિન સુધી આ વેડફાટ જારી છે. ગઇ કાલે તો આ જગ્યાએ લોકો સ્નાન કરતા, વાહનો ધોતા, અને કપડાં ધોતા પણ નજરે પડ્યા હતા. છતાં પાલિકા તંત્રનું પેટનું પાણી હાલતું નથી. પાલિકા તંત્રની બેદરકારીને લઇ ભારે ઉહાપોહ થતા આખરે આજે પાણી પુરવઠા વિભાગની ટીમે સ્થળ મુલાકાત લીધી છે. અને આવનાર ત્રણ-ચાર દિવસમાં આ સમસ્યાનો ઉકેલ આવે તેવી બાંહેધારી આપી છે. એક તરફ શહેરમાં લોકોને રોજબરોજના વપરાશના પાણી માટે વલખા મારવા પડે અને બીજી બાજુ આ રીતે પાણીનો વેડફાટ થાઇ રહ્યો છે.
લીકેજની કામગીરી કરવા માટે શટડાઉન લેવું પડે
પાલિકાના સુત્રના જણાવ્યા અનુસાર, શટડાઉન તબક્કાવાર રીતે લેવાના હોય છે. મંગળવાર સુધી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે તેવું આયોજન છે. લીકેજની કામગીરી કરવા માટે શટડાઉન લેવું પડે છે. રાયકા દોડકાનું શટડાઉન પૂર્ણ થયું છે. ત્યાર બાદ સિસ્ટમ રિસ્ટોર થઇ છે. હવે આ કામ હાથમાં લેવામાં આવશે. આ લાઇન પાછળ રાયકા દોડકાનું પાણી જાય છે. બે વખત રાયકા દોડકાનું શટડાઉન વારા ફરથી થાય, એકસાથે મોટો વિસ્તાર કવર થાય છે.
આ પણ વાંચો —VADODARA : રોજના રૂ. 10 હજાર ખર્ચી પાણીના ટેન્કર મંગાવવા લોકો મજબુર