કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ 6 ડિસેમ્બરે દિલ્હીમાં INDIA ગઠબંધનની બેઠક બોલાવી છે. ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ આ પહેલી બેઠક છે. જેના પર સૌની નજર પણ છે. તેવામાં સૂત્રો જણાવી રહ્યા છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર આ બેઠકમાં સામેલ નહીં થાય. યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ સિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી પહેલા જ બેઠકમાં સામેલ ન થવાના સંકેત આપી દેવાયા છે. તેવામાં હવે નીતીશ કુમાર આ બેઠકમાં સામેલ નહીં થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો અખિલેશના બદલે સપાથી રામગોપાલ યાદવ સામેલ થશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે દિલ્હી પહોંચી ચૂક્યા છે. તેઓ INDIA ગઠબંધનની બેઠકમાં ભાગ લેશે.
મમતાએ કહ્યું- બેઠકની માહિતી નથી
મમતા બેનર્જીએ આ બેઠકમાં સામેલ થવાની ના પડતા કહ્યું કે, મને INDIA ગઠબંધનની બેઠક અંગે કોઈ માહિતી નથી. કોઈએ મને આ બેઠક અંગે જણાવ્યું નથી અને ના મને કોઈ આ અંગે કોલ આવ્યો છે. ઉત્તર બંગાળમાં મારો 6 થી 7 દિવસનો કાર્યક્રમ છે. મેં અન્ય યોજનાઓ પણ બનાવી છે. જો હવે તેઓ મને બોલાવે છે તો હું મારી યોજનાઓ કેવી રીતે બદલી શકું.
JDUએ આપ્યું આ કારણ
JDU તરફથી મુખ્યમંત્રી નીતીશ કુમારના જવા કે ન જવાના વિષય પર કોઈ નિવેદન નથી આપ્યું. જોકે, JDU નેતાનું કહેવું છે કે, મુખ્યમંત્રી નીતીશ કુમારને ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. તેમને વાયરલ તાવ આવ્યો હતો. જેને લઈને હાલ તેમની તબિયત ઠીક નથી. એટલા માટે તેઓ દિલ્હીમાં થનારી બેઠકમાં સામેલ નહીં થાય. જોકે, તેના બદલે JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ અને જળ સંસાધન મંત્રી સંજય કુમાર ઝા આ બેઠકમાં સામેલ થશે. ત્યારે, RJD તરફથી પાર્ટી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ સામેલ થશે.
આ પણ વાંચો – દેશમાં દર કલાકે 19 આત્મહત્યા, આત્મહત્યા કરનારા ખેડૂતો અને મજૂરોની સંખ્યા વધી