ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મોહમ્મદ શમીએ આ વર્ષે યોજાયેલા ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, ટુર્નામેન્ટની શરૂઆતની 4 મેચોમાં તેની પ્લેઇંગ ઇલેવનમાં પસંદગી થઈ નહોતી પરંતુ, તેમ છતાં ઓછી મેચ રમીને તેને અદ્ભુત બોલિંગ કરી હતી. તેણે ટુર્નામેન્ટમાં માત્ર 7 મેચ રમીને 24 વિકેટ ઝડપી હતી અને ટુર્નામેન્ટનો સૌથી સફળ બોલર બન્યો હતો. આ સાથે તે ભારતીય ક્રિકેટ ટીમનો પણ સફળ બોલર રહ્યો હતો. જો કે, આ ટુર્નામેન્ટ દરમિયાન મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. આ મામલે શમીએ હવે પ્રતિક્રિયા આપી છે.
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ દરમિયાન શ્રીલંકા વિરુદ્ધ મેચમાં 5 વિકેટ ઝડપી હતી. વિકેટ લીધા પછી તે ગ્રાઉન્ડ પર ઘૂંટણ પર બેસી ગયો હતો. ત્યાર બાદ કેટલાક પાકિસ્તાની ટ્રોલર્સ દ્વારા શમીને ટ્રોલ કરવામાં આવ્યો હતો. ટ્રોલર્સે કહ્યું કે, શમી સજદા કરવા માગતો હતો પરંતુ તે ડરના કારણે એવું કરી શક્યો નહીં. ત્યારે હવે શમીએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં શમીએ કહ્યું કે, જો મારે સજદા કરવા હોય તો મને આમ કરતા કોણ રોકશે? મારે સજદા કરવો હોય તો કરીશ. આમાં શું સમસ્યા છે? હું ગર્વથી કહીશ કે હું મુસ્લિમ છું. હું ગર્વથી કહીશ કે હું ભારતીય છું.’ આમાં વાંધો શું છે?
‘આ પ્રકારના લોકો કોઈના હોતા નથી’
શમીએ આગળ કહ્યું કે, મેં પહેલા જ્યારે 5 વિકેટ લીધી હતી ત્યારે શું મે આવું કર્યું હતું? મે ઘણી વખત પાંચ વિકેટ લીધી છે. તમે મને જણાવો કે મારે ક્યા જઈને સજદા કરવી છે, અને હું ત્યાં જઈશ અને સજદા કરીશ. શમીએ ટ્રોલર્સ અંગે કહ્યું કે, આ પ્રકારના લોકો કોઈના હોતા નથી. તેઓ માત્ર હંગામો કરવાનું જાણે છે. કન્ટેન્ટ ભેગું કરવા માગે છે. આવા લોકો ન તો મારી સાથે છે અને ન તો તમારી સાથે. તેઓ માત્ર ફરિયાદ કરી શકે છે અને લોકોને બદનામ કરી શકે છે.
આ પણ વાંચો – Ind vs SA T20 Series: આજે ટીમ ઇન્ડિયા માટે ‘કરો યા મરો’ની સ્થિતિ, સીરિઝ બચાવવા સૂર્યા બ્રિગેડ પાસે અંતિમ તક