લગભગ એક દાયકા પછી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સ્કોર કાર્ડ પર ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડી (વીરેન્દ્ર) સેહવાગ અને (રાહુલ) દ્રવિડના નામ જોવા મળ્યા. કર્નાટક અને દિલ્હી વચ્ચે સોમવારે શરૂ થયેલ વિજય મર્ચન્ટ ટ્રૉફી રાષ્ટ્રીય અંડર-16 સ્પર્ધામાં ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને હાલ ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ અને પૂર્વ ભારતીય સ્ટાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના પુત્ર સામસામે હતા.
કર્નાટકની અંડર 16 ટીમના કેપ્ટન અન્વય દ્રવિડ અને દિલ્હીના ઓપનિંગ બેટ્સમેન આર્યવીર સેહવાગ આ મેચમાં પોતપોતાની રાજ્ય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જો કે, મેચના પહેલા દિવસે જુનિયર દ્રવિડ શૂન્ય રન પર આઉટ થયો હતો, જ્યારે જુનિયર સેહવાગે 50 રન ફટકાર્યા હતા. આ કારણે દિલ્હીની ટીમ કર્નાટક પર ભારી પડી રહી છે. જણાવી દઈએ કે અન્વય દ્રવિડ એ પૂર્વ ભારતીય કેપ્ટન અને હાલના ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો નાનો દીકરો છે. તેઓ વિકેટકીપર છે. જ્યારે સેહવાગનો પુત્ર આર્યવીર તેના પિતાની જેમ જ એક આક્રમક બેટ્સમેન છે. રાહુલ દ્રવિડનો મોટો પુત્ર સમિત દ્રવિડ પણ એક ક્રિકેટર છે અને તેણે કૂચ બિહાર ટ્રોફીની નેશનલ અન્ડર-19 ટુર્નામેન્ટમાં કર્ણાટકનું પ્રતિનિધિત્વ કર્યું છે.
મેચની વાત કરીએ તો આજે મેચનો બીજો દિવસ છે અને આ મેચ દિલ્હી અને કર્ણાટક વચ્ચે મંગલાગિરીના આંધ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. અંડર-16 મેચમાં કર્નાટકની ટીમ 56.3 ઓવરમાં 144 રન પર ઓલઆઉટ થઈ છે. જ્યારે દિલ્હીએ પહેલા દિવસે 30 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા છે. આર્યવીર 98 બોલમાં 50 રન બનાવીને રમી રહ્યો છે. તેની પારીમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે.
આ પણ વાંચો – IND vs SA: આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની 2જી મેચ, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન અંગે