RBIએ ઝીરો બેલેન્સ ખાતાના નિયમો બદલ્યા: હવે 7 સુવિધાઓ ફ્રી મળશે
- RBIએ મૂળભૂત બચત ખાતા (ઝીરો બેલેન્સ)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો
- નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ; ખાતું ફરજિયાતપણે આપવું પડશે
- ATM કાર્ડ ફી, 25 પાનાની ચેકબુક અને ઇન્ટરનેટ બેન્કિંગ જેવી સેવાઓ મફત
- ગ્રાહક ઈચ્છે તો 7 દિવસમાં સામાન્ય ખાતું આ ખાતામાં બદલવું પડશે
- બેંકોના આવક આધારિત શરતોના સૂચનો RBIએ નામંજૂર કર્યા
Zero Balance Account Rules : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ઝીરો બેલેન્સવાળા મૂળભૂત બચત ખાતા (Basic Savings Account)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દરેક બેંકે ફરજિયાતપણે આ ખાતું ગ્રાહકોને પૂરું પાડવું પડશે. સાથે જ, ખાતા સાથે જોડાયેલી ઘણી જરૂરી સુવિધાઓ મફતમાં આપવી પડશે.
આ નવા નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ થશે, જોકે બેંકો પોતાની સુવિધા મુજબ આ નિયમો વહેલા પણ અમલમાં મૂકી શકે છે.
RBI એ નિર્દેશ આપ્યો છે કે જો કોઈ ગ્રાહક ઈચ્છે, તો તેનું હાલનું સામાન્ય બચત ખાતું માત્ર સાત દિવસની અંદર મૂળભૂત ખાતામાં બદલી આપવું પડશે. આ માટે ગ્રાહકે લેખિત કે ઓનલાઈન વિનંતી આપવી પડશે. અગાઉ ઘણી બેંકો આ પ્રક્રિયામાં વિલંબ કરતી હતી અથવા ગ્રાહક પર વધારાની શરતો લાદતી હતી.
RBIએ સ્પષ્ટ કહ્યું છે કે બેંકો આ ખાતાઓને નિમ્ર ગુણવત્તાવાળા અથવા મર્યાદિત સુવિધાવાળા માની શકશે નહીં. તેમાં પણ સામાન્ય બચત ખાતાઓ જેવી જ સુવિધાઓ મળવી જોઈએ.
Zero Balance Account Rules : નવા નિયમોની જરૂર કેમ પડી?
નવા નિયમો આવવાનું મુખ્ય કારણ ગ્રાહકોની વધતી ફરિયાદો હતી. ઘણી બેંકોમાં મૂળભૂત બચત ખાતું ખોલવામાં મુશ્કેલી, સુવિધાઓની મર્યાદા નક્કી કરવી, વધારાના શુલ્ક લગાવવા અથવા ડિજિટલ સેવાઓ સીમિત કરવા જેવી ફરિયાદો RBI સુધી પહોંચી રહી હતી, જેને ગ્રાહક સંગઠનોએ નિયમોની વિરુદ્ધ ગણાવી હતી.
Zero Balance Account Rules : આ સુવિધાઓ મફત
RBI ના નવા નિર્દેશો મુજબ, મૂળભૂત બચત ખાતાઓમાં નીચેની સુવિધાઓ ફરજિયાતપણે મફત આપવી પડશે:
- ATM/ડેબિટ કાર્ડ: તેના પર કોઈ વાર્ષિક શુલ્ક કે રિન્યુઅલ શુલ્ક લેવાશે નહીં.
- ચેકબુક: વર્ષમાં ઓછામાં ઓછા 25 પાનાની ચેકબુક બિલકુલ મફત મળશે.
- ડિજિટલ સેવાઓ: ઇન્ટરનેટ-મોબાઇલ બેન્કિંગ અને પાસબુક/સ્ટેટમેન્ટ મફત હશે.
- રોકડ ઉપાડ: ગ્રાહક દર મહિને ચાર વખત ATMમાંથી મફત રોકડ ઉપાડ કરી શકશે.
- ડિજિટલ વ્યવહારો: ડિજિટલ લેવડદેવડ (UPI/NEFT વગેરે) ચાર મફત ઉપાડની મર્યાદામાં ગણવામાં આવશે નહીં.
- રોકડ જમા: મહિનામાં ગમે તેટલી વખત પૈસા જમા કરાવવા પર કોઈ રોક નહીં હોય.
બેંકોના કયા સૂચનો RBIએ કર્યા નામંજૂર?
અગાઉ બેંકોએ ડ્રાફ્ટ નિયમોમાં ઘણા સૂચનો આપ્યા હતા, જેને RBIએ ગ્રાહકોના હિતમાં નકારી કાઢ્યા છે:
આવક આધારિત શરતો: બેંકોએ સૂચન આપ્યું હતું કે મૂળભૂત બચત ખાતું ખોલવા માટે ગ્રાહકોની આવક અથવા પ્રોફાઇલના આધારે શરતો હોવી જોઈએ, જેને RBI એ સ્પષ્ટપણે નામંજૂર કર્યું.
ડિજિટલ સેવા પર રોક: ઇન્ટરનેટ-મોબાઇલ બેન્કિંગ પર રોક લગાવવાના સૂચનને પણ મંજૂર કરવામાં આવ્યું નથી.
નવા નિર્દેશો અનુસાર, મૂળભૂત ખાતામાં તમામ સુવિધાઓ ગ્રાહકની માંગ પર ઉપલબ્ધ થશે, એટલે કે ગ્રાહક જ્યારે ઈચ્છે ત્યારે જ આ સુવિધાઓ લેશે; બેંક તેને ફરજ પાડી શકશે નહીં. આ ખાતાને ચાલુ રાખવા માટે ન્યૂનતમ જમા (Minimum Balance) અથવા અન્ય કોઈ શરતો પણ લાગુ થશે નહીં.
આ પણ વાંચો : Elon Musk ની Starlink નો ભારતમાં સબસ્ક્રીપ્શન પ્લાન જાહેર, વાંચો વિગતવાર


