બિલ્ડર અને ટ્રસ્ટીઓના લાભાર્થે દેરાસરમાંથી ભગવાનની મૂર્તિઓની ઉઠાંતરીનો આરોપ, Jain Community માં ભારે આક્રોશ
Jain Community : અમદાવાદના ગોમતીપુર-રાજપુર (Gomtipur Rajpur) વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન જિનાલયમાંથી ભગવાનની મૂર્તિઓ ઉઠાવી જવાનો મામલો ભડક્યો છે. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને વીસેક કિલોમીટર દૂર અમદાવાદના છેવાડે શીલજ (Shilaj Ahmedabad) ખાતે લઈ જવાતા જૈન સમાજ (Jain Community) માં ભારે આક્રોશ ફેલાયો છે. કેટલાક ટ્રસ્ટ્રીઓની મીલીભગતથી ભૂતકાળમાં પણ ભગવાનને જિનાલય (Jain Temple) માંથી ખસેડવાની વાત લઈને વિવાદ-વિરોધ થઈ ચૂક્યો છે. પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે ભગવાનની મૂર્તિઓને બળજબરપૂર્વક લઈ જવાનો મામલો સામે આવતા અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દોડતી થઈ ગઈ છે. જૈન સમાજના લોકોએ આરોપ લગાવ્યો છે કે, કેટલાંક ટ્ર્સ્ટીઓએ ખુદના ફાયદા માટે બિલ્ડર સાથે મળીને ભગવાનનો વેપાર કરી નાંખ્યો છે.
મુસ્લિમ વસ્તી વચ્ચે જિનાલય, કોઈ અઇચ્છનીય બનાવ નહીં
અમદાવાદ શહેર (Ahmedabad City) ના ગોમતીપુર-રાજપુર વિસ્તારમાં પાંચેક દાયકાઓ અગાઉ જૈન સમુદાયના અનેક પરિવારો રહેતા હતા. ભૂતકાળમાં થયેલા કોમી તોફાનો અને કેટલાંક સામાજિક કારણોસર સુખી સંપન્ન Jain Community ના અનેક પરિવારો પશ્ચિમ અમદાવાદ સહિતના વિસ્તારોમાં સ્થળાંતરિત થયા. વર્ષો વીતતા ગયા અને જૈનોની વસ્તી ઓછી થતી ગઈ. છેલ્લાં પાંચેક દાયકાથી અતિ પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય (Rajpur Shri Chintamani Parshwanath Shwetamber Jain Temple) ની આસપાસ મુસ્લિમ વસ્તી વસી રહી છે. મુસ્લિમ વસ્તીની વચ્ચે આવેલા જૈન દેરાસરમાં વર્ષોથી Jain Community ની આસ્થા અતૂટ રહી છે. અનેક કોમી તોફાનો વચ્ચે ક્યારેય પણ જિનાલયને ઊની આંચ આવી નથી.
પર્યુષણ પર્વમાં આસપાસના મુસ્લિમો નોન-વેજ નથી બનાવતા
ગોમતીપુર-રાજપુર વિસ્તારના પરિવારો અન્ય વિસ્તારમાં રહેવા ચાલ્યા ગયા હોવા છતાં જૈન દેરાસર (Jain Derasar) માં રવિવારે દર્શનાર્થે આવે છે. Jain Community ના પર્યુષણ પર્વ દરમિયાન દેરાસરની આસપાસ રહેતા મુસ્લિમ પરિવારો આઠ દિવસ માટે નોન વેજ બનાવવાનું પણ ટાળે છે. દેરાસરની આસપાસ સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. દોઢેક વર્ષ અગાઉ ભગવાનની મૂર્તિઓ ખસેડવાની વાત આવી ત્યારે મુસ્લિમો પણ જૈન સમાજની સાથે વિરોધમાં જોડાયા હતા.
એક રાતમાં ભગવાનની મૂર્તિઓ ઉઠાવી લેવાઈ
એકાદ સપ્તાહ પૂર્વ ગોમતીપુર-રાજપુરમાં આવેલા પ્રાચીન જિનાલયમાંથી રાતોરાત ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, સંભવનાથ દાદા સહિતની મૂર્તિઓને ઉખાડી લેવામાં આવી છે. ભગવાનની 15થી વધુ મૂર્તિઓને રાતોરાત અમદાવાદના છેવાડે શીલજ ખાતે લઈ જવાઈ હોવાનો આરોપ ભાવિકોએ લગાવ્યો છે. પશ્ચિમ અમદાવાદના એક જાણીતા બિલ્ડર જૂથ (Builder Group) સાથે સાંઠગાંઠ રચીને ભગવાનની મૂર્તિઓ ઉઠાવીને લઈ જવામાં આવી છે. કેટલાંક ટ્રસ્ટીઓએ મેળાપીપણું કરીને ખુદના આર્થિક ફાયદા માટે સમગ્ર ઘટનાને એક રાતમાં જ અંજામ આપ્યો હોવાનો આરોપ લાગ્યો છે.
સમગ્ર મામલે પોલીસ શું કહે છે ?
ભગવાનની પ્રાચીન મૂર્તિઓ ગોમતીપુરથી શીલજ ખસેડવાનો વિરોધ છેલ્લાં એકાદ સપ્તાહથી ચાલી રહ્યો છે. આ મામલે ગઈ મોડી રાતે સંત નિલેશચંદ્ર અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં શીલજ ખાતે પહોંચતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) સ્થળ પર દોડી ગઈ હતી. ગોમતીપુર પોલીસ (Gomtipur Police) ને ઘટનાની જાણ થતાં એક ટીમ શીલજ ખાતે પહોંચી હતી. મૂર્તિઓના સ્થળાંતરનો વિરોધ કરી રહેલા Jain Community ના લોકોએ રજૂઆત કરી હતી કે, પોલીસ અમારી વાત સાંભળવા પણ તૈયાર નથી. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો સાથે વાતચીત કર્યા બાદ અરજી સ્વીકારી તપાસની ખાતરી આપી હતી. ગોમતીપુર પોલીસના જણાવ્યાનુસાર ગત 10 ફેબ્રુઆરીની રાતે દેરાસરમાં ઉત્થાપન વિધિ કરીને મૂર્તિઓને બેન્ડ-વાજા સાથે સવારે અમદાવાદના છેવાડે શીલજ ખાતે લઈ જવામાં આવી છે. જૈન દેરાસરમાં ગણ્યાગાંઠ્યા ભાવિકો જ આવતા હોવાથી ભગવાનની મૂર્તિઓ પશ્ચિમ અમદાવાદમાં ચોક્કસ સ્થાને ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ પણ વાંચો : તપાસમાં આરોપીઓને ફાયદો કરાવતી Gujarat Police ની સરકારી વકીલોએ પોલ ખોલી


