Home » ફૂલ જેવા આરવને મુકીને જવાનું મન થતું નથી, ભાગીદારે દગો આપતા વેપારીનો આપઘાત
ફૂલ જેવા આરવને મુકીને જવાનું મન થતું નથી, ભાગીદારે દગો આપતા વેપારીનો આપઘાત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
115
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 23મી જુલાઈના રોજ રોનક પટેલ નામના 42 વર્ષીય યુવકે આપધાત કર્યો હતો. જેમાં ઘરમાં ગળેફાંસો ખાઈ યુવકે આપધાત કરતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે મૃતક રોનક પટેલે આત્મહત્યા પહેલા પોલીસ કંટ્રોલરૂમમાં એક સુસાઈડ નોટ મોકલી હતી જેમાં તેની આત્મહત્યા પાછળનાં કારણો ખુલ્યાં હતા.
ભાગીદારે આત્મહત્યા કરવા મજબુર કર્યો
રોનક પટેલે 4 પાનાની સ્યુસાઇડ નોટમાં લખ્યુ હતું કે હું રોનક કુમાર બાબુલાલ દીલ પર પથ્થર રાખી મજબુરીમાં આ પગલું લઈ રહ્યો છુ. જેનું મુખ્ય કારણ રાકેશ ઉનડકટ (ફર્મ- વિઝન કેપિટલ), અને તેની સાથેનાં માણસો મારૂતિભાઈ, કૃણાલભાઈ અને ધવલભાઈ જવાબદાર છે. કારણ કે તેઓ રાકેશભાઈને દરેક વાતમા સમર્થન આપી મને દબાણમાં લાવીને અને આ પગલું ભરવા મજબૂર કર્યો છે.
રોકાણ વિના બન્યો ભાગીદાર
ENGITECH SOLUTION કંપનીમા જુના મશીન પર તેમણે કરેલી લોન પરથી 14 જૂન 2020માં નોટરી કરારથી મારા નામની પ્રોપરાઈટર ફર્મમાં વગર પૈસે રોકાણે લોન કરાવી રાકેશ ઉનડકટ ભાગીદાર બન્યા હતા. આ લોનમાં તેમની જ ફર્મ કે તેમને લાગતી વળગતી ફર્મ ચામુંડા એન્જીનિયરીંગ અને વિજય મશીન ટૂલ્સમાંથી બિલ સાયકલ ફેરવી જુના મશીનને નવા બનાવી લોન કરી અને અમારી કંપની ENGITECH SOLUTION ચાલુ કરી હતી. મારી કંપનીમાં અમારા બંનેના નામે લોન કરવામાં આવશે અને મશીન પ્રોપર્ટી તથા નફામાં બન્નેનો સરખો ભાગ રહેશે તેવી વાત કરવાથી હું તૈયાર થયો હતો. પરંતુ બન્નેના નામે લોન કરવાની જગ્યાએ મારા એકલાના નામે લોન કરી અને વેપારીને પુરી જવાબદારી આપી 50 ટકા ભાગીદાર બન્યા હતા.
સબસીડીમાંથી અડધી રકમ માંગી આપી ધમકી
આરોપીઓએ ભાગીદાર બનતા પહેલા એવી વાત કરી હતી કે ભલે તેનું રોકાણ નથી પરંતુ તેના કોન્ટેક્ટસમાંથી 12 કલાકનું કામ આપશે અને રોજનાં 4-5 કલાક હાજરી આપી સપોર્ટ કરશે. જેનો પગાર કંપનીએ 10 હજાર ચુકવવાના રહેશે જે બાદ વેપારીએ ભાગીદારને પગાર ચુકવ્યો હોવા છતાં તેણે બન્નેમાંથી એક પણ શરતનું પાલન કર્યું ન હતુ. અને કંપનીની 7 લાખ 57 હજાર રૂપિયા સબસીડી આવી તેમાં પણ 50 ટકા ભાગ માંગ્યો હતો.જે ભાગ આપવાની વેપારીએ ના પાડતા ભાગીદારે સબસીડી પાછી ખેંચાવી લેવાની ધમકી આપી રોનક પટેલને મશીન વેચવા મજબુર કર્યો હતો.
વેપારીનાં 18 લાખ લઈને કરી ઉચાપત
વેપારી મશીન વેચ્યા બાદ બજારનાં હિસાબમાં 5 લાખનું નુકસાન સામે આવતા લોન ભરવા માટે બેંકમાં ગયા હતા. તે સમયે રાકેશ ઉનડકટે 18 લાખ રુપિયા વ્યાજ પર આપવાનું કહીને લઈ લીધા બાદ આપવાની ના પાડી. જેનાં કારણે વેપારી લોન ભરી શક્યા નહોતા. મૃતક રોનક પટેલે સ્યુસાઇડ નોટમાં વધુમાં લખ્યું હતું કે સરકાર આ માણસની વિગતો જાણી યોગ્ય પગલાં ભરે. વર્ષ 2020માં તેનાં ત્યાં કામ કરતા અજય સાગર અને સોહમ પંડ્યાને અલગ અલગ આરોપો લગાવી પેપરમાં નામ આપી વગોડીને કાઢ્યા હતા. તેવી જ રીતે મને પણ માનસિક રીતે પ્રેસરમાં લાવી આ પગલુ ભરવા મજબુર કર્યો છે.
ફૂલ જેવા આરવને મુકીને જવાનુ મન થતુ નથી
સ્યુસાઇડ નોટમાં વેપારીએ પરિવારને સંબોધીને લખ્યું હતું કે તનીકા અને આરવને વિનંતી છે કે મારી જીંદગીમાં હું તમારા માટે કાંઈપણ કરી શક્યો નથી. શક્ય હોય તો માફ કરજો. ફૂલ જેવા આરવ અને આવા સરસ પરિવારને મુકીને જવાનુ મન થતું નથી પરંતુ શું કરું? ડગલેને પગલે સાથ આપનાર તનીકાનો ઋણી છુ. મમ્મી પપ્પાને આ ઉમરે મુકીને જાઉ છું એ માટે ભગવાન મને માફ કરે. તનીકા પરિવારની મંજૂરી લઈને આરવના ભવિષ્ય માટે બીજુ ઘર કરે તો એમા કાંઈ ખોટુ નથી. વેપારીએ પોલીસને પરિવારની કોઈ પણ પ્રકારની પુછપરછ કરવામાં ન આવે અને ચોક્કસ ગુનેગારને ચોક્કસ પરિણામ મળે તેવી માગ કરી હતી.
આત્મહત્યા દુષ્પ્રેરણની નોંધાઈ ફરિયાદ
સાથે જ મૃતકે પોતાનાં વતનની જમીન અને અન્ય બાબતોનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જોકે આ મામલે રામોલ પોલીસે રોનક પટેલનાં ભાગીદાર રાકેશ ઉનડકટ અને તેની સાથેનાં મારૂતિભાઈ કૃણાલભાઈ અને ધવલભાઈ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject