Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યું, જુઓ આ તસવીરો
- દેશની એકતા અને અખંડિતતા તથા સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ
- સરદાર સાહેબની 150 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશેઃ મુખ્યમંત્રી
- દોડશે અમદાવાદ, જોડાશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન
Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અને સૌ દોડવીરો એ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.
31 ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની દોઢસો મી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વધુમાં તેમણે વધુમાં કહ્યું કે, ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
સરદાર પટેલનું ‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન’ને સાકાર થયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ 2014 થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન’ને સાકાર કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રન ફોર યુનિટી અખંડિતતાનું એક પ્રતીક છે. એટલુ જ નહીં, આ દોડ સૌને એકતાના તાંતણે બાંધે પણ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો: 'ગો ગ્રીન', પ્લાસ્ટિક મુક્તિ અને મહત્તમ વીજ બચત માટે ‘Gujarat Police’ ની અનોખી પહેલ
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંદેશ ને સન્માનિત કરવા માટે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે. સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવતું હોય છે. આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી.
આ પણ વાંચો: Amreli : ક્યારે આવો છો જાફરાબાદનો બાજરો લઇ દિલ્હી ? : PM Narendra Modi
આ દોડ કુલ 3.0 કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત 2500 થી વધુ લોકો જોડાયા હતા. આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબહેન જૈન, સર્વ સાંસદ સભ્ય, સર્વ ધારાસભ્ય તેમજ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલર, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે, તેમજ અન્ય મહાનુભાવો, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો: Ahmedabad : Waqf બોર્ડે AMC ની 31 જમીન પર કબજો કર્યો! લિગલ કમિટીની કાર્યવાહી તેજ


