VADODARA : નિવૃત્તિની ઉંમરે મહિલાએ ખેતીમાં મન પરોવ્યું
VADODARA :સરકારી નોકરી કે અન્ય નોકરીઓમાં દાખલ થવું હોય તો ઉંમર મર્યાદા નડે. પરંતુ સાહસ કરવું હોય તો કોઈ વય મર્યાદા ના નડે. વડોદરા (VADODARA) ના મહિલા દીપ્તિ જાની ૬૩ વર્ષની ઉંમરે આરોગ્ય લાભો માટે પ્રાકૃતિક ખેતી (OLD AGE WOMAN IN COW BASED FARMING) કરી રહ્યા છે. ૬ વર્ષની ગાય આધારિત સાત્વિક ખેતીની સફળતા પછી તેઓ વધુ એક નવું સાહસ કરવાનું વિચારી રહ્યા છે. હવે તેઓ પ્રાકૃતિક ખેતીના ગુણસભર શાકભાજી ઉત્પાદનોની સૂકવણી કરી,તેના પાવડર બનાવીને મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણનું નવા સાહસ તરફ વધી રહ્યા છે.
૬ વીઘા જમીનનો ટુકડો ખરીદી ગાય આધારિત ખેતી શરૂ કરી
દીપ્તિ શરદ જાની બોટની એટલે કે વનસ્પતિ વિજ્ઞાનના સ્નાતક છે. તેમને વનસ્પતિઓ પ્રત્યે પહેલે થી લગાવ હતો. આમ તો તેઓ રોગ મુક્તિની આધ્યાત્મ વિદ્યા રિકી અને વાસ્તુશાસ્ત્ર ના પરામર્શક તરીકે સેવાઓ આપતા હતા. પરંતુ તેમને પ્રાકૃતિક ખેતી કરવાનું મન થયું, એટલે ૨૦૧૮ માં પાદરા તાલુકાના સાધી ગામે ૬ વીઘા જમીનનો ટુકડો ખરીદી ગાય આધારિત ખેતી શરૂ કરી. તેઓ પ્રાકૃતિક ખેતીથી કેરી,જામફળ,ચીકુ, રામફળ,લીંબુ,જાંબુ,આમળા, કમરખ,કાજુ અને બીજોરા જેવા ફળો,ઔષધીય શતાવરી અને ચંદન જેવા ઉત્પાદનો મેળવતા થયા છે.
આરોગ્ય લાભો જોડાયેલા હોવાથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી
તેઓ લગભગ આંતરે દિવસે ખેતરની મુલાકાત લે છે અને ખેત સહાયકની મદદથી ખેતરના તમામ છોડવા અને વૃક્ષોની માવજત કરે છે. તેઓ મૂળ ખેડૂત પરિવારના છે એટલે ખેતીનું આકર્ષણ હતું જ. તેમણે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. તેઓ કહે છે કે, ત્યાં મને પ્રાકૃતિક ખેતીના ઘટકોની ઊંડી જાણકારી મળી. ખેડૂત પુત્રી તરીકે મને બાગાયતનું આકર્ષણ હતું. આરોગ્ય લાભો જોડાયેલા હોવાથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી.
ઉત્પાદન વધારવા તેમણે ૧૦ પેટીઓમા મધમાખીનો ઉછેર કર્યો
તેમના ખેતરમાં ૧૦ થી વધુ વરાયટી ના આંબા છે અને કેરીના વેચાણની ઘણી સારી આવક થાય છે.તેમના ખેતરની કેરીની માંગ મુંબઈ,બેંગલોર, અમદાવાદ અને સુરતના કેરી રસિયાઓમાં છે જ્યારે જામફળ પાદરા અને વડોદરામાં વેચાઈ જાય છે. તેઓએ મિશ્ર પાક પદ્ધતિ અપનાવી છે અને હવે હળદર,અને શાકભાજી ને સૂકવી,પાવડર બનાવીને વેચવાનું આયોજન વિચારી રહ્યા છે. પરાગનયન ને વેગ આપીને ઉત્પાદન વધારવા તેમણે ૧૦ પેટીઓમા મધમાખીનો ઉછેર કર્યો છે.
પાકના વેચાણથી મૂડી પાછી મળી
ખેતર માટે તેમને રૂ.૬ લાખની મૂડી રોકવી પડી હતી અને પાકના વેચાણથી એ પાછી મળી છે.તેઓએ આવકમાં થી જ ગાયો અને ટ્રેકટર ખરીદ્યા છે. જેની પાસે જમીન હોય,જેની ખેતીમાં અભિરુચિ હોય એ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી ને તંદુરસ્ત રહે એવો તેમનો સંદેશ છે.
આ પણ વાંચો -- VADODARA : વડોદરા સાયબર ક્રાઇમને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ એનાયત


