VADODARA : જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તરમાં 11 મીટર સુધીની વૃદ્ધિ
VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) દ્વારા આપવામાં આવેલા સંકલ્પ' કેચ ધી રેઇન ' (CATCH THE RAIN) ને અનુલક્ષીને વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં કરવામાં આવેલા જળસંચયના વ્યાપક કામોના સુખદ પરિણામો મળી રહ્યા છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં એ વાત ફલિત થઇ છે કે, વડોદરા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહનું પ્રમાણ વધતા ભૂગર્ભ જળસ્તરમાં ૧૧ મીટર સુધીની વૃદ્ધિ નોંધાઇ છે.
પાણીની ઉંડાઇના માપ લેવામાં આવ્યા
ઉક્ત કેન્દ્રીય સંસ્થા દ્વારા જિલ્લાના ૨૫થી વધુ ગામોમાં વર્ષ-૨૦૨૧થી તબક્કાવાર ઉનાળા અને ચોમાસા દરમિયાન ટ્યુબ વેલ, બોરવેલ અને કૂવામાં પાણીની ઉંડાઇના માપ લેવામાં આવ્યા હતા. ભૂગર્ભ જળના સ્ત્રોતો માટે એવા ગામો અને સ્થળો પસંદ કરવામાં આવ્યા હતા કે જે નદી કે સરોવરથી દૂર હોય અને જીવંત હોય.
જિલ્લામાં ૨૫થી વધુ સ્થળો ગામોને પસંદ કરવામાં આવ્યા
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા ભૂગર્ભ જળના સ્તરમાં થઇ રહેલા ફેરફારો નોંધવા માટે સમગ્ર ગુજરાતમાં ૮૫૦થી વધુ સ્થળોએ કૂવા, ટ્યુબવેલ, અને બોરવેલમાં નિયત સાધનો બેસડવામાં આવ્યા છે. તે પૈકી વડોદરા જિલ્લામાં ૨૫થી વધુ સ્થળો ગામોને પસંદ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં ભૂગર્ભ જળની સ્તર વૃદ્ધિનું સૌથી સારુ પ્રમાણ અટલાદરામાં નોંધાયું છે. વર્ષ - ૨૦૨૩ના ઉનાળામાં અહીં ૧૯.૧૦ મીટર ઉંડુ પાણી હતું. તેની સામે વર્ષ ૨૦૨૪ના ઉનાળામાં ૭.૮૦ મીટરે નોંધાયું હતું. અહીં એમબીજીએલથી ૧૧.૩ મીટરની વૃદ્ધિ નોંધાઇ હતી.
વર્ષ - ૨૦૨૪ના ઉનાળામાં ૭ મીટર નોંધાયું
સાવલી તાલુકાના ટુંડાવ ગામે પણ સારુ પરિણામ જોવા મળ્યું છે. અહીં વર્ષ - ૨૦૨૧ના ઉનાળા દરમિયાન ભૂગર્ભ જળની ઉંડાઇ જમીનના ઉપલા સ્તરથી ૧૧ મીટર નીચે જણાઇ હતી. આ જ પ્રમાણ વર્ષ - ૨૦૨૪ના ઉનાળામાં ૭ મીટર નોંધાયું છે. એનો મતબલ કે જમીનમાં પાણીનું સ્તર ચાર મીટર ઉંચું આવ્યું છે.
અટલાદરાનું એમબીજીએલ ૧૩ મીટર છે
આ સ્તરને મીટર બિલોવ ગ્રાઉન્ડ લેવલ તરીકે માપવામાં આવે છે. વડોદરા જિલ્લામાં આ સ્તર ૨૨ થી ૫૬ મીટર વચ્ચે છે. એટલે કે, આ એમબીજીએલ બાદ પાણીના સ્તરને માપવામાં આવે છે. વાસ્તવિક રીતે પાણી મીટર બિલોવ ગ્રાઉન્ડ લેવલ અને ઉક્ત મીટરની ઉંડાઇથી મળે છે. જેમ કે, અટલાદરાનું એમબીજીએલ ૧૩ મીટર છે, હવે ત્યાં ૭.૮ મીટર નીચે પાણી મળે તો એનો મતલબ કે ૧૩ વત્તા ૭.૮ મીટર, ૨૦.૮ મીટર ઉંડાઇએ પાણી હોય છે.
એકથી સાડા ત્રણ મીટર સુધીની જળ સ્તરની વૃદ્ધિ
પાદરા તાલુકાના ચાણસદમાં ગ્રીષ્મ – ૨૦૨૧માં ૬.૯૦ મીટર નીચે જળ હોવાની સામે આ ઉનાળામાં ૪.૪૦ મીટરનું પ્રમાણ નોંધાયું હતું. અહીં ત્રણ વર્ષમાં અઢી મીટરની વૃદ્ધિ નોંધાઇ છે. આ ઉપરાંત છત્રાલ, ધરમપૂરી, સાઠોદ, તુલસીગામ, જરોદ, શંકરપૂરા, બાજવા, ડભોઇ, સૂરાશામળ, બામણગામ, અંજેસર, પાંચદેવળા, કુરલમાં પણ ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવ્યા છે. આ ગામોમાં એકથી સાડા ત્રણ મીટર સુધીની જળ સ્તરની વૃદ્ધિ થઇ છે.
સિંચાઇ વિભાગ હસ્તક દેવ ડેમ, વઢવાણા સહિત કુલ ૩૯૪ જળાશયો
આ સુખદ પરિણામોની પાછળ વડોદરા જિલ્લામાં થઇ રહેલી જળસંચય પ્રવૃત્તિ અને લોકજાગૃતિ મુખ્ય ગણી શકાય. જિલ્લામાં પંચાયત સિંચાઇ વિભાગ હેઠળ ચેકડેમો સહિત કુલ ૧૩૫ જળાશયો છે, તેમાં કુલ ૩૭.૦૪ એમસીએમ પાણીનો સંગ્રહ થાય છે. જ્યારે, રાજ્ય સિંચાઇ વિભાગ હસ્તક દેવ ડેમ, વઢવાણા સહિત કુલ ૩૯૪ જળાશયો છે અને તેમાં ૨૨૯.૩૫ એમસીએમ પાણી સંગ્રહિત થઇ શકે છે.
વડોદરા જિલ્લામાં ૮૧ અમૃત સરોવરો પણ છે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા અમૃત સરોવરના નિર્માણનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેને પગલે વડોદરા જિલ્લામાં ૮૧ અમૃત સરોવરો પણ છે. આ ઉપરાંત વડોદરા જિલ્લામાં અગાઉ મોટાભાગની જૂથ પાણી પુરવઠા યોજનાઓ ભૂગર્ભ જળ આધારિત હતી. હવે તેમનું રૂપાંતરણ સરફેસ વોટર એટલે કે નદી જળ આધારિત યોજનાઓમાં કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય સ્ત્રોત નર્મદા અને મહી જેવી નદીઓ છે. તેના લીધે ભૂગર્ભ જળનું દોહન ઘટ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : રેલવે મંડળ અંતર્ગત આવતા 18 સ્ટેશનોની કાયાલપટ થશે


