VADODARA : વેશ પલટો કરીને મહારાષ્ટ્ર પહોંચેલી પોલીસે લૂંટ-ખુન કેસનો આરોપી દબોચ્યો
VADODARA : વડોદરા ગ્રામ્ય એસઓજી (VADODAR RURAL SOG) દ્વારા ફર્લો રજા તથા વચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા આરોપીઓની ભાળ મેળવવા માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે. તે પૈકી એક કિસ્સામાં વેશ પલટો કરીને મહારાષ્ટ્ર પહોંચેલી પોલીસે લૂંટ અને ખુન કેસના આરોપીને વેશપલટો કરીને પકડી પાડ્યો છે. જ્યારે 25 વર્ષ પહેલા ફર્લો રજા પરથી ફરાર આરોપીનું મૃત્યુ થયું હોવાનું શોધી કાઢીને તેનું નામ ફરારી લિસ્ટમાંથી કમી કરવાની તજવીજ હાથ ધરી છે.
આરોપી માલુ કનાસીયાએ લૂંટ અને ખુનનો ગુનો આચર્યો હતો
વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા ફર્લો રજા અને પેરોલ જંપ કરનાર આરોપીઓની માહિતી એકત્ર કરી તેનો ઇતિહાસ તથા તેના પરિજનોની માહિતી મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એક કિસ્સામાં આરોપીએ વર્ષ - 2020 માં ડભોઇ ટાઉનમાં આરોપી માલુ કનાસીયાએ લૂંટ અને ખુનનો ગુનો આચર્યો હતો. જેમાં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. આ મામલે આરોપી વચગાળાના જામીન મેળવીને ફરાર થયો હતો. તે પોતાની ધરપકડ ટાળવા માટે પોતાના આશ્રય સ્થાનો બદલતો રહેતો હતો.
ધાર જિલ્લાના ગંધવાણી ગામની સિમમાંથી પકડી પાડવામાં આવ્યો
દરમિયાન વિતેલા 2 દિવસથી તે મહારાષ્ટ્રના નંદુરબારમાં હોવાની ચોક્કસ બાતમી મળતા એક ટીમ તુરંત ત્યાં જવા રવાના થઇ હતી. ત્યાં પહોંચીને વેશ પલટો કરીને આરોપીનો સતત બે દિવસ પીછો કરવામાં આવ્યો હતો. આખરે આરોપીને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાણી ગામની સિમમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. અને તેને વધુ કાર્યવાહી અર્થે ડભોઇ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેનું 9 વર્ષ પહેલા મૃત્યું થયું છે
બીજા કિસ્સામાં ખુનના ગુનામાં આરોપી ગુણવંતસિંહ રાજપુતને વડોદરા તાલુકા પોલીસ મથક દ્વારા દબોચવામાં આવ્યો હતો. તેને કોર્ટમાંથી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં તે સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો, તે દરમિયાન 14 દિવસની ફર્લો રજા મેળવીને તે વર્ષ 1999 માં ફરાર થઇ ગયો હતો. આરોપી પોતાની બીજી પત્ની સાથે રહેતો હોવાની બાતમી મળતા પોલીસ સુરત પહોંચી હતી. ત્યાં જઇને તપાસ કરતા તેના પરિવાર પાસેથી જાણવા મળ્યું કે, તેનું 9 વર્ષ પહેલા મૃત્યું થયું છે. જેથી તેનું નામ ફરારી લિસ્ટમાંથી કમી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો -- VADODARA : શહેરમાંથી સૌ પ્રથમ વખત હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતો પેડ્લર ઝડપાયો


