ચંદીગઢના સેક્ટર 16 સ્ટેડિયમમાં લહેરાતા રાષ્ટ્રધ્વજની સૌથી મોટી માનવ છબી માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. પહેલા આ રેકોર્ડ યૂએઈના નામે હતો, જે હવે તૂટી ગયો છે. આ સિદ્ધિ હાંસલ કરવા માટે 5885 લોકોની ભીડ એકઠી થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ ચંદીગઢ યુનિવર્સિટી અને એન.આઈ.ડી. ફાઉન્ડેશન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી.
GWRના સત્તાવાર નિર્ણાયક સ્વપ્નિલ ડાંગરીકરે જણાવ્યું હતું કે આ રેકોર્ડનું નામ ‘લહેરાતા રાષ્ટ્રધ્વજની સૌથી મોટી માનવ છબી’ છે. આવો જ એક રેકોર્ડ વર્ષો પહેલા યુએઈમાં બન્યો હતો. આજે તે રેકોર્ડ તૂટી ગયો છે. 5885 લોકોની ભાગીદારી માટે આભાર. મીનાક્ષી લેખીએ કહ્યું કે હું ચંદીગઢ યુનિવર્સિટી અને એનઆઈડી ફાઉન્ડેશનને અભિનંદન આપવા માંગુ છું. તે આપણા બધા માટે ગર્વની વાત છે. દરેક વ્યક્તિનું મન એ જ ભાવથી ભરેલું હતું કે જ્યાં સુધી આપણે જીવિત છીએ ત્યાં સુધી તિરંગાના સન્માન, ગૌરવમાં આપણી ફરજ પ્રત્યે આપણી જાતને સમર્પિત કરીશું.
હર ઘર તિરંગા અભિયાનને ટેકો આપ્યો
આઝાદીના 75 વર્ષ નિમિત્તે દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારથી લઈને સામાન્ય લોકો સુધી આ અભિયાનમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર એસ સતનામ સિંહ સંધુ, જેઓ એનઆઈડી ફાઉન્ડેશનના મુખ્ય આશ્રયદાતા છે, તેમણે કહ્યું હતું કે આ પ્રસંગે 10,000 થી વધુ લોકો એકઠા થશે. ચંદીગઢ યુનિવર્સિટી અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના 8650થી વધુ વિદ્યાર્થીઓ તેમજ એનઆઇડી ફાઉન્ડેશનના સ્વયંસેવકો ‘હર ઘર તિરંગા’ અભિયાનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે.
લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા
આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. કલા, શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, જાહેર બાબતો, સમાજસેવા અને સાહિત્યના ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિઓ બદલ લોકોને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહ સ્વતંત્રતા સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્મચારીઓના બહાદુરીભર્યા કાર્યો અને બલિદાનને માન આપવા માટે યોજાયો હતો.