મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં આદિજાતિ બાબતોના મંત્રી વિજય કુમાર ગાવિત અભિનેત્રી ઐશ્વર્યા રાય પર નિવેદન આપ્યા બાદ મુશ્કેલીમાં મુકાયા છે. હવે રાજ્ય મહિલા આયોગે ભાજપના ક્વોટામાંથી મંત્રી વિજય કુમાર ગાવિતને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પરની તેમની ટિપ્પણીનો ખુલાસો કરવા કહ્યું છે. પંચે મંત્રીને નોટિસ મોકલી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.
અગાઉ ગાવિત સોમવારે વિવાદમાં આવ્યા હતા જ્યારે તેમણે કહ્યું હતું કે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની આંખો સુંદર છે કારણ કે તે નિયમિતપણે માછલી ખાય છે. મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક જાહેર સભામાં જ્યારે મંત્રી માછલી ખાવાના ફાયદા ગણાવી રહ્યા હતા ત્યારે ભારે હાસ્ય સર્જાયું હતું. ગાવિતે તેમના વક્તવ્યમાં એમ પણ કહ્યું હતું કે માછલી ખાવાથી સ્ત્રી-પુરુષો આકર્ષક દેખાય છે. તેની આંખોની ચમક વધે છે, જેને કોઇપણ જોઇ લે તો કાયલ થઇ જાય. તેમણે કહ્યું હતું કે, “તમે ઐશ્વર્યા રાયની આંખો જોઈ હશે. તે ખૂબ જ સુંદર છે. તે કર્ણાટકના મેંગલોરના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટી થઈ છે. તે નિયમિતપણે માછલી ખાતી હતી અને તેથી જ તેની આંખો ખૂબ સુંદર છે.” સમારંભમાં તેમના સંબોધનની આ ક્લિપ સોમવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
68 વર્ષીય ગાવિત આદિવાસી માછીમારોને માછીમારીના સાધનોનું વિતરણ કરવા ધુળેના અંતરુલીમાં આવ્યા હતા. મંત્રીએ એમ પણ કહ્યું કે માછલી ખાવાથી ત્વચામાં પણ સુધારો થશે કારણ કે માછલીમાં તેલ હોય છે, જેનાથી આંખો અને ત્વચાને ઘણો ફાયદો થાય છે. ગાવિત નંદુરબારથી ભાજપના ધારાસભ્ય છે અને ઉત્તર મહારાષ્ટ્રમાં પ્રભાવશાળી આદિવાસી નેતા માનવામાં આવે છે.