અહેવાલઃ નામદેવ પાટિલ, પંચમહાલ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજીત શૌર્ય જાગરણ યાત્રાનું ગોધરા શહેરમાં આગમન થયું હતું, જે બાદ ગોધરાના વિશ્વકર્મા ચોકથી શૌર્ય જાગરણ યાત્રાની રેલી નીકળી હતી, જે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરીને લાલબાગ મંદિર ખાતે સમાપન થયું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા દેશભરમાં વર્તમાન સમયમાં સમાજ જાગરણના હેતુથી શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે યાત્રા હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પ્રવેશેલી શૌર્ય જાગરણ યાત્રાનું ગોધરા શહેરમાં આગમન થયું હતું.ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે શૌર્ય જાગરણ યાત્રાના રથની પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ આ યાત્રા ગોધરા શહેરમાં અંબિકા ચોક, પટેલવાડા અને સોનીવાડ થઈને રામજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં આરતી કર્યા બાદ યાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.
યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરીને લાલબાગ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત સહમંત્રી દ્વારા ઉપસ્થિત લોકોને યાત્રાના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી, આ યાત્રામાં VHP અને બજરંગદળના યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા