અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ
કોરીક્રિક વિસ્તારને ઇકો ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવાની યોજના હવે ધીરે ધીરે વેગ પકડી રહી છે.સરહદી ક્ચ્છ જિલ્લાને જેટ ગતિએ વિકસાવવાની વાત હવે સાર્થક થતી હોય તેમ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે
આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોરીક્રિકની, આ સ્થળ હાલ સીમા સુરક્ષા દળ હેઠળ આવે છે. અટપટી ક્રિકમાં અવારનવાર ડ્રગ્સ સાથે ભૂતકાળમાં ઘુસણખોરો પણ ઝડપાઇ ચુક્યા છે. અહીં પહોંચવા માટે સીમા સુરક્ષા દળની પરમિશન લેવી પડે છે. ત્યારે આવનારા દિવસોમાં આ સ્થળને વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે
ક્ચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના જણાવ્યા પ્રમાણે ઇકો ટુરિઝમ ક્ષેત્રે કોરીક્રિકને વિકસાવવા માટે 80 કરોડનો પ્રોજેકટ છે. જેને લઈને પ્રવાસીઓ કોરીક્રિક સુધી જઇ શકશે. આ માટેની તમામ ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. હાલમાં જોવા જઈએ તો આ પ્રોજેકટ હેઠળ રોડ સાથે પ્રવાસીઓ પહોંચી શકે તે માટેની પરિવહન સહિતની વ્યવસ્થા ગોઠવાય તેવા સંકેતો મળી રહ્યા છે.પ્રવાસીઓ જે રીતે વાઘા બોર્ડર જોઈ શકે છે તે રીતે કચ્છની બોર્ડર પણ જોઈ શકે તેવું આયોજન ગોઠવાઈ રહ્યું છે.
આ માટેની તમામ મંજૂરી માટે જુદાજુદા વિભાગો દ્વારા બેઠકો થઈ રહી છે.ગુજરાત સાથે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓની બેઠકો થઈ રહી છે. આમ પણ કચ્છમાં સફેદ રણ જોવા માટે દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે ત્યારે ક્રિક વિસ્તારમાં દેશના જવાનો કઈ રીતે કામ કરે છે તે જોવું એક લ્હાવો બની રહેશે.તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ક્રિક વિસ્તારને વિકસાવવાની વાત કરી હતી
કોરીક્રિક વિસ્તારમાં મેગ્રુજનું વાવેતર
વન વિભાગ દ્વારા 500 હેકટરમાં મેગૃજનું વાવેતર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ક્રિક વિસ્તારની જે ચેનલ આવેલી છે તે સ્થળે આ કામગીરી હાથ ધરાઈ છે.તેવું વન વિભાગના અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું.
કોરીક્રિકથી સિંધુ નદીનો ઇતિહાસ રસપ્રદ
ઇતિહાસની વાત કરીએ તો સિંધુ નદીનું પાણી કૌરીક્રિક મારફતે લખપત સુધી આવતાં ત્યાં સુધી કચ્છ સ્વાવલંબી હતું. પ્રદેશની ભૂમિ પણ રસાળ હતી. પુષ્કળ ધાન પૈદા થતું અને પરિણામે કચ્છને તેમાંથી પ્રતિવર્ષ ૭ લાખ કોરીની મહેસૂલની ઉપજ થતી. લખપતની આ ભૂમિ આખા કચ્છ પ્રદેશને લાલ ચોખા અને બાજરો પુરા પાડતી. નાનામાં નાનો ખેડૂત પણ પોતાના પરિવારનું ગુજરાન આસાનીથી કરી શકતો. કચ્છ પ્રદેશ ખાધા ખોરાકી માટે ક્યારેય પરાવલંબી રહેતો નહીં. ઊલટાનું ક્ચ્છમાંથી સારા પ્રમાણમાં અનાજ પરદેશ જતું. તેને કારણે કચ્છનો જળ વહીવટ એશિયા અને આફ્રિકાના બંદરો સુધી વિસ્તાર પામ્યો હતો.
પણ કુદરતને કચ્છની આ સ્વાવલંબીતા કંઈક મંજૂર ન હતી અને ૧૯મી જૂન, ૧૮૭૯ના કચ્છમાં મોટા ધરતીકંપથી કચ્છમાં ખુવારી થઈ. આંચકાથી ૧૮ માઈલની જમીનની એક મોટી લાંબી પટ્ટી ૧૮ ફૂટ ઊંચી ઉપસી આવી. અલ્લાહ બંધને નામે જાણીતી થયેલી આ વિશાળ સિંધુ સાગરના નિર્મળ જળ કચ્છમાં આવતાં અટકાવ્યાં હતા. કચ્છ પ્રદેશની લીલોતરી સૂકાવા લાગી. જમીનની ફળદ્રુપતા ઊડી ગઈ અને કચ્છ વેરાન થવા લાગ્યું. સ્વાવલંબી કચ્છ પરાલંબી બન્યું. એક સમયે પરદેશને પાન-ખાદ્ય ખોરાકી મોકલનાર પ્રદેશ પરદેશી ધાન આવે તેની રાહ જોવા લાગ્યો હતો
એ સમયે દસ લાખની કચ્છની વસતિમાંથી પાંચ લાખ કચ્છીઓ કચ્છ બહાર ગયા હોવાની ઈતિહાસમાં નોંધ છે, કચ્છમાં આવતાં બંધ થઈ ગયેલા સિંધુના પાણી પુનઃ માં આવે તો ફ્ળ પાછું નવપલ્લવિત બને એવી મોટી આશાએ કચ્છના એ સમયના રાજવી રાવ દેશળજીએ ખાસ બંગાળથી નિષ્ણાતોને કચ્છમાં બોલાવી આ અંગે સર્વેક્ષણ હાથ ધર્યું હતું પરંતુ એ સમયના ટાંચા સાધનોને કારણે આ કાર્ય સંપન્ન ન થઈ શક્યું.આજે નર્મદાનાં પાણી કચ્છમાં લાવવાના પ્રયાસો સફળ બન્યા અને પીવાનાં પાણીની સમસ્યા કંઈક અંશે હલ કરી શકાઈ છે.