કમિટીની તપાસમાં તેઓ દોષિત સાબિત થયા હતાં
સરકારી જમીન પ્રકરણમાં ગેરરીતિ કરી હોવાના આરોપસર પૂર્વ કલેક્ટર એસ કે લાંગાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ લાંબા સમયથી ગાંધીનગરમાં નોંધાયેલા કેસમાં વોન્ટેડ હતાં. એસ.કે. લાંગાએ તેમના કલેક્ટર કાળ દરમિયાન જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. . લાંગા સમક્ષ ગાંધીનગર સેક્ટર-7 પોલીસમાં ફરિયાદ થતાં સરકારે એક કમિટીનું ગઠન કર્યું હતું. આ કમિટીની તપાસમાં તેઓ દોષિત સાબિત થયા હતાં. ગાંધીનગર એલસીબીએ લાંગાની ધરપકડ કરી છે. તેઓ વિજય રૂપાણીની સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમને સકંજામાં લીધા હતાં.
બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા
લાંગા સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા તેવું કમિટીની તપાસમાં સામે આવ્યુ હતું.. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમ પણ નહીં ભરીને સરકારને આર્થિક નુકસાન કરી બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા ઊભા કરી ખોટા ડોક્યુમેન્ટ બનાવી એનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તે ઉપરાંત તેમણે ભાગીદારીમાં રાઇસ મિલ ચલાવી ભષ્ટાચાર કર્યા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.
મુલાસણમાં પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ
પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ થોડા સમય અગાઉ મીડિયાને કહ્યું હતું કે, લાંગા કથિત પત્રને બદલે પોતાના નામે પત્ર લખીને સત્ય ઉજાગર કરે. મારા કાર્યકાળ દરમ્યાન લાંગા સામે ભ્રષ્ટ્રાચાર કર્યાનાં આરોપ લાગ્યા હતા. પંચમહાલમાં ભ્રષ્ટ્રાચાર બાબતે મેં જ લાંગા વિરૂદ્ધ તપાસ કરાવી હતી. અમદાવાદ નજીક આવેલા મુલાસણમાં પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો છે. મુલાસણાની પાંજરાપોળની જમીન બિલ્ડર અને મળતિયાને પધરાવવાનો આરોપ હતો.ત્યારે એસ.કે.લાંગા ગાંધીનગર કલેક્ટર હતા તે સમયે કૌભાંડ થયું હતું.