ઘઉંની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર ખુલ્લા બજારમાં વધુ ઘઉં વેચવાની તૈયારી કરી રહી છે. ઘઉંના ભાવ આઠ મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર તહેવારોની સિઝનમાં ગ્રાહકોને મોંઘવારીથી રાહત આપવા માટે ખુલ્લા બજારમાં વધુ ઘઉંનું વેચાણ કરી શકે છે.
ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ ઘઉંના મિલરોની બેઠક બાદ કહ્યું કે દેશમાં ઘઉંની કોઈ અછત નથી. અને ભાવ નિયંત્રણ માટે સરકાર સમક્ષ તમામ વિકલ્પો ખુલ્લા છે. તેમણે કહ્યું કે સરકાર લોટ મિલો અને બિસ્કિટ કંપનીઓ જેવા જથ્થાબંધ ગ્રાહકોને વધુ ઘઉં વેચી શકે છે.
વેપારીઓનું કહેવું છે કે પુરવઠાની અછતને કારણે સપ્ટેમ્બર મહિનામાં ઘઉંના ભાવમાં 4 ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, માંગમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. ઘઉંના સંગ્રહ અને ભાવને અંકુશમાં લેવા માટે સરકારે ઘઉંની સ્ટોક મર્યાદા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જથ્થાબંધ વેપારીઓ અને મોટા છૂટક વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 3000 ટનથી ઘટાડીને 2000 ટન કરવામાં આવી છે.
ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક હોવા ઉપરાંત, ભારત તેનો સૌથી મોટો ઉપભોક્તા પણ છે. સરકારની ચિંતા ઘઉંના ભાવમાં સતત વધારો છે. આગામી ઘઉંનો પાક માર્ચ 2024 પહેલા નહીં આવે.
આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જ્યારે લોકસભાની ચૂંટણી 2024માં યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકાર કોઈ પણ સંજોગોમાં ઘઉંના ભાવમાં વધારો થવા દેવા માંગતી નથી જેના કારણે સત્તાધારી પક્ષને ચૂંટણીમાં નુકસાન વેઠવું પડે છે. આ જ કારણ છે કે વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકાર ઘઉંને ખુલ્લા બજારમાં વેચી શકે છે જેથી છૂટક બજારમાં કિંમતોને નિયંત્રિત કરી શકાય