અહેવાલ—દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃદ્ધાના ઘરમાં વહેલી સવારે વાડામાંથી કાચી દીવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશેલા લૂંટારાઓએ વૃદ્ધાને માર મારી બંધક બનાવી 2.68 લાખની મતાની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
વૃદ્ધાને માર મારી બાંધી દીધા
ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ઝાડેશ્વરના નેતાજી ફળિયામાં રહેતા રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે મળસ્કે ત્રણેક વાગ્યાના સમયે ફરિયાદીના પગ ઉપર કોઈક વસ્તુ પડતા તે જાગી ગયા હતા અને ખાટલામાં બેસી ગયા હતા અને તે દરમિયાન જ 2 અજાણ્યા શખ્સ પૈકી એક શખ્સે મહિલાના મોઢા ઉપર હાથ મૂકી દઈ મોઢા ઉપર મુકા મારી ઓઢણીથી બાંધી દીધા હતી અને ફરિયાદીને પકડી રાખી હતી. બીજા શખ્સે વૃદ્ધાના હાથમાંથી સોનાની પહેરેલી બંગડીઓ અને કાનમાં પહેરેલ બુટીઓ કાઢી લીધી હતી.તેણે ફરિયાદીને કહેલ કે પૈસા ક્યાં છે..? તેમ પૂછતા રૂપિયા નહીં હોવાનું જણાવતા એક શખ્સે ફરિયાદીને ખાટલામાં સુવડાવી દઈ ફરિયાદીની છાતી ઉપર બેસી ગયો હતો.
લૂંટ ચલાવી ફરાર
બીજા શખ્સે ફરિયાદીના હાથ પગ ખાટલા સાથે બાંધી દઈને અન્ય એક શખ્સે તેની પાસેના ચપ્પુ વડે ફરિયાદીને હાથના કોણીના નીચેના ભાગે ઘા માર્યો હતો જ્યારે બીજા શખ્સે તેના હાથ વડે ફરિયાદીના મોઢા ઉપર મુક્કા મારી કબાટમાંથી રોકડા રૂપિયા 5,000 તથા ચાંદીના સિક્કા નંગ ૩ ઓશીકા નીચે મુકેલો મોબાઇલ લઈ રફુ ચક્કર થઈ ગયા હતા. ફરિયાદીએ ગળાના ભાગે બાંધેલ કપડાં છોડીને ઘરના આગળના દરવાજે સામે રહેતા મલ્લિકાબેન પટેલને બૂમો પાડી ઉઠાડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી
પોલીસે તપાસ શરુ કરી
મકાનની કાચી દીવાલમાં બખોલું પાડેલું જોઈ આજુબાજુના લોકો પણ ચોમકી ઉઠ્યા હતા અને તાબડતોબ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે ખસેડ્યા બાદ પોલીસે ફરિયાદ લીધી હતી જેમાં લૂંટારૂ ટોળકીએ 2,68,143ની લુંટ કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસે લૂંટારૂ ટોળકીનું પગેરૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા
લૂંટારૂ જાણભેદુ હોવાની શંકા
જે પ્રકારે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે પ્રકારે ઘરના વાડામાં કાચી દિવાલ તોડવા માટે લોખંડની સીડી સ્થળ ઉપરથી મળી આવી છે અને દિવાલ તોડીને અંદર મકાનમાં પ્રવેશ્યા હતા ત્યાં પણ લાકડાની સીડી હતી જેના કારણે સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપવામાં જાણભેદૂ હોય અથવા મકાનમાં મજૂરી કામ અર્થે આવ્યા હોય અને રેકી કરીને લૂંટને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે
૭ મહિનાથી ઘરમાં ચાલી રહેલી કામગીરી માટે ૬ કોન્ટ્રાક્ટરો બદલ્યા
ઘરના કન્સ્ટ્રક્શનના કામકાજ માટે વારંવાર કોન્ટ્રાક્ટરોને બદલવા ઘણી વખત જોખમી સાબિત થતા હોય છે આવી જ ઘટના ઝાડેશ્વરમાંથી સામે આવી છે જેમાં મકાનના કન્સ્ટ્રક્શનના કામકાજ માટે ૭ મહિનામાં ૬ કોન્ટ્રાક્ટરો બદલ્યા અને સંખ્યાબંધ મજૂરોએ આ મકાનમાં કામ કર્યું છે અને મજૂરોમાંથી જ કોઈ જાણ ભેદુ લુંટારૂ હોય અને લૂંટને અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાવી પોલીસે તપાસ શરૂ કરી છે
લૂંટારૂ બાઇક પર આવ્યા હતા
જે ઘરમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો છે તેની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાના પોલીસે પ્રયાસ કર્યા હતા જેમાં મોટરસાયકલ ઉપર 2 અજાણ્યા ઈસમો આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
આ પણ વાંચો—-PATAN : રાણીની વાવમાં ટિકિટ કૌભાંડ આચરાયું હોવાનો ગંભીર આરોપ