અહેવાલઃ વિજય માલી, પાદરા
પાદરા નગરમાં ભાથુજી મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલ વૃદ્ધાને ગાયે ભેટીએ ચઢાવતા ઇજાગ્રસ્ત વૃદ્ધાનું સારવાર બાદ મોત નિપજતા પાદરા નગરમાં ચકચાર જગાવી મૂકી . વડોદરા શહેર અને જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે અને છાશવારે કોઇને કોઇ રખડતા ઢોરોની અડફેટે ચઢી રહ્યુ છે, અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે છતાં તંત્ર નાગરિકોને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. પાદરા નગરમાં વધુ એક વૃદ્ધાને ગાયે અડફેટે ચઢાવતા ઇજાગ્રસ્ત થયેલી વૃદ્ધાનું સારવાર બાદ મોત નિપજયુ છે. આ ઘટના બાદ પાદરા નગરમાં ફરીએકવાર રખડતા ઢોરની સમસ્યાને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાદરા નગરમાં આવેલા રાણા વાસમાં રહેતા 90 વર્ષીય ધૂળીબેન ચુનીલાલ રાણા રવિવારે સવારે 11 વાગ્યા ની આસપાસ પોતાના ઘર પાસે આવેલા ભાથુજીના મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. એક ગાયે અચાનક તેમને અડફેટે લીધા હતા, વયોવૃધ્ધ ધૂળીબેન હવામાં ફંગોળાઈ રસ્તા ઉપર પટકાતા તેમને નાક, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, અને સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતું
ગાયે વૃદ્ધા પર હુમલો કરતા પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સભ્ય રાજુભાઈ રાણા સહીત સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોર ગાય ને ભગાડી ઇજાગ્રસ્ત
ધૂળીબેન ને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયાં ધૂળીબેન ને સારવાર બાદ મોડી સાંજે હોસ્પિટલ માંથી ધૂળીબેન ને રજા આપી દેવામાં આવતા તેઓ ઘરે આવી ગયા હતા દરમિયાન આજે સવારે ધૂળીબેનનુ પોતાના ઘરમાં જ મોત નિપજ્યું હતું