અહેવાલ – અર્જુનવાળા
ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકની સાથે સાથે બાગાયત પાકનું વાવેતર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પણ છેલ્લા કેટલા વર્ષથી નાળિયેરના વાવેતરમાં સફેદ માખી નામના રોગે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
ગીર સોમનાથ બાગાયત વિભાગ તરફથી મળેલા આંકડા મુજબ જિલ્લાના વેરાવળમાં 6146, સુત્રાપાડામાં 418, તાલાલામાં 465 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર જોવા મળે છે. પણ છેલ્લા અઢી વર્ષથી નાળિયેરના વાવેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જેના કારણે નાળિયેરના વાવેતરમાં ઉત્પાદન ઘટયું છે. નાળિયેરના વાવેતરમાં સફેદ માખી નામના રોગના કારણે ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે. જો કે અત્યારે વરસાદ પડતા સફેદ માખીનો ઉપદ્રવ ઘટ્યો છે. પણ સંપૂર્ણ ગયો નથી. થોડા સમય પહેલાં આ રોગના કારણે નાળિયેરમાંથીફાલ ખરી જતો હતો. અને સફેદ માખીના કારણે નારિયેળી ઝાડમાંથી પાન પણ ખરી જતા હતા.
સફેદ માખીના કારણે નારિયેળીમાં ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે. પહેલા જે ઝાડમાંથી વર્ષે 1000 જેટલા નાળિયેર નીકળતા હતા.તે અત્યારે વર્ષે માત્ર 250 થી 300 જેટલા નાળિયેર નીકળી રહ્યા છે.પણ આગામી દિવસોમાં તમામ એક સાથે નારિયેળીના પાક દવાનો છંટકાવ કરે તો સફેદ માખી નામનો રોગ સંપૂર્ણ જઈ શકે છે. ઉત્પાદન ઘટવાના કારણે અત્યારે નારિયેળીના બાગનો ઈજારો કોઈ વેપારી રાખવા તૈયાર નથી. નારિયેળીમાં સફેદ માખીના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે.
નાયબ બાગાયત અધિકારી વિજયસિંહ બારડ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાળિયેરીમાં સફેદ માખીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. પણ હજુ ખેડૂતોએ સતર્ક રહેવાની જરૂર છે. સફેદ માખીના રોગથી નાળિયેરીને બચાવવા માટે ઝાડને 15 થી 20 દિવસે પાણીથી વોશ કરવું જોઈએ. સફેદ માખીનો ઉપદ્રવ અટકાવવા માટે પ્રથમ તબક્કે જીવાતના નિયંત્રણ માટે માત્ર પાણી સાથે કોઈપણ ડિટર્જન્ટ પાઉડર ભેરવી જેટ ગનના પ્રેશરથી પાન તથા થડ ઉપર છંટકાવ કરવો જોઈએ, આ જીવાતનો ઉપદ્રવ અટકાવવા માટે સમૂહ નિયંત્રણના પગલાં લેવા જરૂરી છે.ઉપરાંત સફેદ માખીનો ઉપદ્રવ ઘટે તે માટે ખેડૂતોએ વિવિધ પગલાં ભરવા પણ જરૂરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે