અહેવાલઃ ભાસ્કર જોશી, મોરબી
રાજ્યના ગૃહરાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ આજે મોરબી ખાતે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન સંબોધનમાં તેમણે કહ્યું હતું કે કોઈપણ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓને ફસાવશે તો તેને સાંખી નહીં લેવાય તેમજ કોઈ સુરેશ પણ સલીમ બનીને આવું કૃત્ય કરશે તો તેને પણ સાંખી નહીં લેવામાં આવે. પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે કરવામાં આવતું ષડ્યંત્ર ચલાવી લેવામાં નહીં આવે. આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો એ જ દિવસે તેની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.
…તો એ દીકરીઓનો ભાઇ બનીને હું આવ્યો છું
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે મોરબી ખાતે નવા બસ સ્ટેશન સહિતનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ.. આ દરમ્યાન સભાને સંબોધતા તેમણે કહ્યું કે મોરબી જિલ્લાના નાગરિકોને આજે હું સૂચન અને ચેતવણી આપવા આવ્યો છું. મારું સૂચન ખૂબ ગંભીરતાપૂર્વક અને જેના મનમાં માનવતા પણ બચી હોય તે તમામ લોકો કાન ખોલીને સાંભળી લે. દુનિયાના કોઇપણ ખૂણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર સાહેબ, પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામને બદનામ કરવાવાળા કાન ખોલીને સાંભળી લે… કોઈ સલીમ સુરેશના નામે પ્રેમ કરીને જો કોઈ ભોળી દીકરીને ફસાવશે તો એ દીકરીનો ભાઈ બનીને હું આવ્યો છું. કોઇ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તોપણ ખોટું છે અને કોઇ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તોપણ ખોટું છે. પ્રેમ કરવાનો હક બધાને છે, પણ પ્રેમના નામે કોઈપણ ભોળી દીકરીને ફસાવશે તો તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.
આ પ્રકારની દરેક ઘટનાને ગંભીરતાથી લેવામાં આવશેઃ હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આવા પ્રકારની કોઇપણ અરજી કોઇપણ પરિવારજનો કોઈપણ પોલીસ સ્ટેશનમાં આવે તો એને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે. આવી ફરિયાદ લઈને આવનારાઓને બીજો ધક્કો ખવડાવવામાં ન આવે અને એ જ દિવસે પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરીને પગલાં ભરશે. મારી સૌને વિનંતી છે કે પ્રેમના શબ્દને, પ્રેમની આસ્થાને બદનામ કરવાનો હક કોઈને નથી. તમામ પરિવારજનોની આ જવાબદારી છે કે કોઇની આસ્થા કે ભાવનાને ઠેસ ન પહોંચે, એની જવાબદારી તમામ સમાજના અગ્રણીઓએ લેવી જોઇએ. પોલીસ સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ પ્રકારની દરેક ઘટનાને ગંભીરતાથી લેવામાં આવશે.
હું તમને વિશ્વાસ અપાવું છું …
આજે હું જણાવવા માગું છું કે આ પ્રકારની ઘટનાઓની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. એક-એક કિસ્સાને ગંભીરતાપૂર્વક લેવામાં આવશે. તપાસનાં મૂળિયાં ક્યાં સુધી છે, એ ગુનાનાં મૂળિયાં ક્યાં સુધી છે એ તપાસમાં સો ટકા બહાર આવશે, એની હું આપને ખાતરી આપવા આવ્યો છું. પ્રેમ શબ્દને બદનામ કરનારા એક-એક લોકો એ પછી કોઇપણ હોય, તેને સમજાવવાની જવાબદારી સમાજની છે અને સમજે નહીં, ષડ્યંત્રરૂપી કોઈ કામ કરતા જ રહે તો તેને રોકવાની જવાબદારી કાયદાની છે. એ કાયદાની કામગીરીની જવાબદારી તમે મને આપી છે. તો હું તમને વિશ્વાસ અપાવું છું કે આ બાબતે એકદમ ગંભીરતાપૂર્વક કામગીરી કરવામાં આવશે.