અહેવાલ – કૌશિક છાયા
દિલ્હી ખાતે આયોજિત G-20 સમિટમાં કચ્છના મડવર્કના કારીગર માજીખાન મુતવાની મડવર્કને નિહાળી વિદેશી મહેમાનો અભિભૂત થઈ રહ્યા છે.આ G-20 સમિટના ‘ભારત મંડપમ્’ માં દેશભરના ખ્યાતનામ કલાકારોને સ્થાન મળ્યું છે જેમાં ભુજના સિણીયારો ગામના મડવર્ક કલાકાર માજીખાન મુતવાએ કચ્છની માટીમાંથી નિર્મિત મડવર્કની કળાને વૈશ્વિક સ્તર પ્રદર્શિત કરી કચ્છનું ગૌરવ વધાર્યું છે.
ભારત મંડપમમાં દેશભરના વિવિધ કલાકારીગરોના આર્ટપીસ જોવા માટે પહોંચ્યા હતા.કચ્છી માટીના વિવિધ નમુનાઓ સાથે મડવર્કની કળા પ્રદર્શિત કરતાં કચ્છના બન્નીના સિણીયારો ગામના મડવર્કના કસબી માજીખાન મુતવાને જોતા જ દેશના વડાપ્રધાન અને સવાયા કચ્છી તરીકે ઓળખાતા નરેન્દ્ર મોદીએ દુરથી જ તેમને કચ્છી ભાષામાં પૂછ્યું હતું કે ‘કચ્છી માડુ કી અયો?’ જેનું ગુજરાતીમાં ભાષાંતર થાય છે કે કચ્છી માણસ કેમ છો?
કચ્છના મડવર્કના કારીગર અને બન્ની વિસ્તારના સિણીયારોવાસી માજીખાન મુતવા મડવર્કની ફ્રેમ જેના પર ‘નરેન્દ્ર મોદી-પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા’ લખવામાં આવ્યું હતું તે તૈયાર કરીને લઇ ગયા હતા એ ફ્રેમ જોઇ વડાપ્રધાને કારીગર સાથે કચ્છીમાં જ હાલચાલ પૂછ્યા હતા
કચ્છના મડવર્ક કારીગર માજીખાને માહિતી આપતા જણાવ્યું હતું કે,”હું એક એવા વિસ્તારમાંથી આવું છું કે જ્યાં ભારતની વસ્તી પૂર્ણ થઈ જાય છે એટલે કે સરહદી જિલ્લા કચ્છના બન્ની વિસ્તારના સિણીયારો ગામથી હું આવું છું.આ કળા એક ટ્રેડિશનલ કળા છે જે 350 વર્ષ જેટલી જૂની છે.આ કળાની શરૂઆત ત્યાંથી શરૂ કરવામાં આવી કે જે ગામમાં વાહનો તરીકે ઘોડા અને ઊંટ ચાલતા હતા.અહીંના લોકો જ્યારે પોતાના ઘર બનાવતા હતા ત્યારે તે પૂરા માટીથી પોતાના ઘર બનાવતા હતા ત્યારે મડવર્કની શરૂઆત થઈ કે જેનાથી માટીમાં વિવિધ ડિઝાઇન બનાવીને ઘરને ખૂબ સુંદર રીતે સુશોભિત કરીને સજાવવામાં આવતું હતું.
કચ્છની મડવર્ક કળા ધીરે ધીરે પ્રખ્યાત થતી ગઈ અને તેનામાં કરેલા મીરર વર્કને લીધે તે વધુ આકર્ષિત બનતી ગઈ અને માંગ વધતા દરેક સ્થળે કારીગરો આ કળા કરવા જઈ શકે તેવું શક્ય ન હોવાથી કારીગરોએ લાકડાના તથા એમ.ડી.એફના ટુકડાઓ પર માટીની વિવિધ ડિઝાઇન તૈયાર કરીને વિવિધ આર્ટ પીસ બનાવવામાં આવી રહ્યા છે.આ કળામાં મુખ્ય આકર્ષણ તેના પર કરેલું મીરરવર્ક છે.અહીઁ G 20 સમિટમાં આવેલા વિદેશી મહેમાનોને આ કળા ખૂબ પસંદ આવી રહી છે.તો આ કળા પાછળની જે કહાની છે તે પણ લોકોને પસંદ આવી રહી છે.
સંઘર્ષથી સફળતાને વરેલા માજીખાન મુતવાએ તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં પણ પોતના કળાના કામણ પાથર્યા હતા.માજીખાન મુતવા એક સમયે બેંકના ATM પર સિક્યુરીટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હતા. નોકરી દરમિયાન એક કલાકાર તરફથી પ્રેરણા મળતા તેઓને કળા કારીગરીમાં રસ જાગ્યો હતો અને ત્યાર બાદ તેમને કલાને રોજગારીના વિકલ્પ તરીકે વર્ષ 2013માં સ્વીકારી હતી. શરૂઆતમાં તેમને ઘણો સંઘર્ષ કર્યો હતો અને અનેકવાર તેમને નિષ્ફળતા પણ મળી હતી. હિમ્મત હાર્યા વિના મનોબળ મજબૂત કરીને અન્ય કારીગરોના સંપર્કમાં આવ્યા અને ત્યાર બાદ તેમને ધીમે ધીમે કામ મળતું ગયું.
મુતવાને એમેઝોન જેવા પ્લેટફોર્મનો પણ સારો સહયોગ મળ્યો તો આ ઉપરાંત ગુગલની નેશનલ મીટ માટે પણ તેમને આમંત્રણ મળ્યું હતું તો હાલમાં જ તેઓ કારીગર ક્લિનિક સાથે જોડાયા ત્યારે પોતાની આવડત દ્વારા ગોલ્ડ એવોર્ડ જીત્યો હતો.આ ક્લાકારને જુલાઈ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં નિર્માણ પામેલ નવી ગેલેરીમાં કામ કરવા માટે પણ આમંત્રણ મળ્યું હતું.
કારીગર માજીખાન મુતવા દરેક પ્રકારની સુવિધાના અભાવને પોતાની તાકાત બનાવે છે અને મજબૂત ઈરાદાઓ સાથે કેવી રીતે આગળ વધી શકાય તે શીખવે છે.આ G 20 સમિટમાં વિવિધ 20થી વધુ વિદેશીઓએ કચ્છની, ભારતની આ કળા નિહાળી અને ખરીદી એનું એક અનોખો ગર્વ પણ માજીખાન મુતવાને છે. તો કચ્છની 350 વર્ષ જુની તળાવની ચિકણી માટીની કળાને પણ વૈશ્વિક દરજ્જો મળ્યો છે જે કચ્છ માટે પણ ગૌરવની વાત કહી શકાય તેમ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.