અહેવાલ : સાગર ઠાકર
જૂનાગઢ જીલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે રહેતા કરણ વાઢેર નામના યુવાનને સુખપુર ગામે રહેતી એક યુવતી સાથે છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. પંદર દિવસ અગાઉ આ યુવતીની સગાઈ બીજા યુવાન સાથે થઈ જતાં કરણ તેનુ મનદુઃખ રાખી 27 એપ્રિલના રોજ રાત્રીના ચોરવાડ થી 8 કી.મી. દૂર સુખપુર ગામે યુવતીને મળવા માટે ગયો હતો.
મળવા ગયેલા યુવકે ત્યાં યુવતી તથા યુવતીના પિતા દાનસિંગભાઈ ડોડીયા સાથે માથાકુટ કરી હતી, જેથી આવેશમાં આવીને દાનસિંગભાઈએ કરણને લાકડી અને પાઈપ વડે માર માર્યો હતો. યુવકને મારમારવામાં આવતા તે ઈજાગ્રસ્ત હાલતમાં હતો અને સુખપુર ગામની સીમમાં કેનાલ પાસે પડી ગયો હતો. જ્યારે સવારે કરણ ભાનમાં આવતાં તેના પરિવારજનોને જાણ કરી હતી અને તેમના સંબંધી તેમને સુખપુરથી ચોરવાડ સારવાર અર્થે લાવતાં હતા તે દરમિયાન કરણનું મૃત્યું થયું હતું.
આ દરમિયાન કરણે તેમના પરિવારજનોને તેને કોણે માર માર્યો છે તે જણાવી દીધું હતું. હોસ્પીટલ પહોંચતા સુધીમાં કરણનું મૃત્યુ થયું હતું પરંતુ પોતાના પરિવારજનોને માર મારનારનું નામ આપી દેતાં આ બનાવમાં પરિવારજનોના નિવેદનના આધારે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી.
આ બાબતની નોંધ લેતા ચોરવાડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ. ગઢવી સહીતના સ્ટાફે દાનસિંગભાઈ ડોડીયાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ગુન્હામાં હજુ કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ ચોરવાડ પોલીસે આરોપીની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરવા સહીતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.