અહેવાલ – સાગર ઠાકર | Junagadh : 22 જાન્યુઆરીનો દિવસ એક ઐતિહાસિક દિવસ બની રહેશે. જ્યારે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ઉત્સવનો માહોલ હશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આ દિવસ દિવાળીની જેમ ઉજવવા અપીલ કરી છે. પોતાના ઘરમાં દિવડા પ્રગટાવવા આહ્વાન કર્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના આહ્વાનને લઈને જૂનાગઢના મનો દિવ્યાંગો દિવડા બનાવી રહ્યા છે અને રામ મંદિરની ઉજવણીમાં પોતાનું પણ યોગદાન આપી રહ્યા છે.
દિવ્યાંગો માટે આશાદિપ ફાઉન્ડેશન દ્વારા એક પ્રયાસ હાથ ધરાયો
મનો દિવ્યાંગો 22 જાન્યુઆરી માટે સુશોભિત કરેલા દિવડા તૈયાર કરી રહ્યા છે. તેઓ બને તે માટે આશાદિપ ફાઉન્ડેશન દ્વારા એક પ્રયાસ હાથ ધરાયો છે. તે લોકો પણ સામાન્ય માણસની જેમ સમાજમાં પુનઃસ્થાપિત થાય અને તહેવારોનો આનંદ માણી શકે તે માટે સંસ્થા પ્રયત્નશીલ છે.
વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી માનસિક દિવ્યાંગોના પુનઃસ્થાપન માટે આશાદિપ ચેરીટેબલ ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે. આ ફાઉન્ડેશનમાં 18 વર્ષથી ઉપરના માનસિક દિવ્યાંગોને તાલીમ આપવામાં આવે છે. સંસ્થાનું માનવું છે કે, માનસિક દિવ્યાંગોને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો તાલીમ જ તેની સારવાર સાબીત થાય છે, અને તેના થકી જ તેની પ્રગતિ અને તેનું સમાજીક રીતે પુનઃસ્થાપન કરી શકાય છે. પોતાના આ જ ઉદેશ્ય સાથે સંસ્થા દ્વારા દિવ્યાંગોને વિવિધ દૈનિક વપરાશની ચીજવસ્તુઓ સાથે તહેવારો દરમિયાન વપરાશમાં આવતી વિવિધ ચીજવસ્તુઓની બનાવટ શિખવવામાં આવે છે, અને બાદમાં તેનું વેચાણ કરવામાં આવે છે.
મનો દિવ્યાંગો દિવડા તૈયાર કરી રહ્યા
માનસિક દિવ્યાંગ વ્યક્તિને તેના જીવનમાં પ્રગતિના પથ પર અગ્રેસર કરી શકાય તેવા ઉદેશ્ય સાથે Junagadh ના આશાદિપ સંસ્થા દ્વારા દિવડા સુશોભિત કરવાની તાલીમ અપાઈ છે. જે દિવાળી બાદ ફરીવાર 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે જ્યારે રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે લોકો દિવડા પ્રગટાવીને આ દિવસની ઉજવણી કરવાના છે ત્યારે મનો દિવ્યાંગો દિવડા તૈયાર કરી રહ્યા છે.
સંસ્થામાં તાલીમ લેતાં 35 મનો દિવ્યાંગો દ્વારા હાલ 5 હજાર માટીના દીવડા તૈયાર કરીને સુશોભિત કરવામાં આવી રહ્યા છે, અને તેનો ઓર્ડર પણ મળી રહ્યો છે. હજુ પણ વધુ ઓર્ડર આવશે તો સંસ્થા દ્વારા વધુ દિવડા તૈયાર કરવામાં આવશે અને તેનું વેચાણ કરવામાં આવશે. દિવડા સુશોભિત કર્યા બાદ તેને ગીફ્ટ પેકના રૂપમાં પેકીંગ કરવામાં આવે છે. નાની મોટી સાઈઝના પેકીંગમાં સુશોભિત દિવડાનું વેચાણ કરવામાં આવે છે. આ દિવડાના વેચાણમાંથી જે નફો થાય છે તે મનો દિવ્યાંગો વચ્ચે વહેચી દેવામાં આવે છે. આમ ચાલુ વર્ષે આ મનો દિવ્યાંગો માટે દિવાળી બાદ ફરીવાર દિવડા વેંચીને કમાણી કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
આ પણ વાંચો — MV Lila Norfolk Hijacked: Indian Navy એ અરબ સમુદ્રમાં દુશ્મનોને માત આપી