Home » ચંન્દ્રયાન-3 ની ડિઝાઇન અને નકલી સાયન્ટિસ્ટ, મિતુલ ત્રિવેદીના દાવાઓ પર અનેક પ્રશ્નો
ચંન્દ્રયાન-3 ની ડિઝાઇન અને નકલી સાયન્ટિસ્ટ, મિતુલ ત્રિવેદીના દાવાઓ પર અનેક પ્રશ્નો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
275
23 ઓગષ્ટે ભારતે ચંદ્ર પર પગ મુકીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે ત્યારે ચંદ્રયાન-3 ( Chandrayaan-3)ની ડિઝાઇન સુરતના સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદી (Mitul Trivedi)એ બનાવી હોવાની સમાચારો વાયરલ થયા હતા. મિતુલ ત્રિવેદીએ ખુદ દાવો કર્યો હતો કે તે તેમણે ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી છે. જો કે મિતુલ ત્રિવેદી ઇસરો સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે અનેક પ્રશ્નો પુછાઇ રહ્યા છે. ઇસરો (Isro) ના સુત્રો કહે છે કે મિતુલ નામનો કોઇ શખ્સ અમારી સાથે સંકળાયેલો નથી ત્યારે મિતુલ ત્રિવેદી ખરેખર ઇસરો સાથે જોડાયેલા છે અને તેમણે જ ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી છે તે વિશે અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે.
તેણે દાવો કર્યો કે તેણે જ ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી છે
ચંદ્રયાને ચંદ્રની ધરતી પર પગ મુક્યો ત્યારે દરેક ભારતીયની છાતી ગજગજ ફુલાઇ હતી. રાષ્ટ્રની આ ઐતિસાહિક સિદ્ધિનો ગર્વ દરેક ભારતીયને હોય તે સ્વાભાવિક છે અને તેમાં પણ સુરતના એક યુવાન મિતુલ ત્રિવેદીએ જ્યારે દાવો કર્યો કે તેણે જ ચંદ્રયાનની ડિઝાઇન બનાવી છે ત્યારે ગુજરાતીઓએ પણ ગર્વ અનુભવ્યો હતો. 23 ઓગષ્ટે સાંજે જ્યારે ચંન્દ્રયાનનું સફળ લેન્ડિગ થયું ત્યારબાદ સુરતનો મિતુલ ત્રિવેદી દિવસભર ચર્ચામાં રહ્યો હતો કારણ કે તેણે દાવો કર્યો કે તેણે જ ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવી છે. મિતુલ ત્રિવેદી સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહ્યા હતા. તેમની અને તેમના શિક્ષકની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી જેથી દરેકને એવું લાગ્યું કે મિતુલ ત્રિવેદીએ જ ચંદ્રયાનની ડિઝાઇન બનાવી છે.
મિતુલ ત્રિવેદી ઇસરો સાથે જોડાયેલા છે કે કેમ તે વિશે હવે સવાલો ઉભા થઇ રહ્યા છે
જો કે મિતુલ ત્રિવેદી ઇસરો સાથે જોડાયેલા છે કે કેમ તે વિશે હવે સવાલો ઉભા થઇ રહ્યા છે. સુરતમાં એલ.પી.સવાણી રોડ પર સ્વાતી સોસાયટીમાં રહેતા મિતુલ ત્રિવેદીએ આપેલા વિવિધ ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે તેઓ 2011થી ઇસરો સાથે સંકળાયેલા છે અને 2013થી નાસામાં કામ કરે છે. તેમણે જ ચંદ્રયાનની ડિઝાઇન બનાવી હતી. વિક્રમ લેન્ડરની ડિઝાઇનમાં પણ તેમણે સહયોગ કરેલો છે. જો કે તેમણે ઇન્ટરવ્યું તો આપ્યા હતા પણ આ વિશે કોઇ પુરાવા કે અન્ય માહિતી આપી શક્યા ન હતા.
ઇસરોના સાયન્ટિસ્ટ પોતાની માહિતી જાહેર કરતા નથી
બીજી તરફ ઇસરોના સુત્રોએ કહે છે કે સુરતનો મિતુલ ત્રિવેદી નામનો કોઇ વ્યક્તિ ઇસરો સાથે સંકળાયેલો નથી. બીજી તરફ એવું પણ કહેવાય છે કે સામાન્ય રીતે ઇસરો સાથે સંકળાયેલો કોઇ વ્યક્તિ જાહેરમાં પૂર્વ મંજૂરી વગર કોઇ સાથે વાતચીત કરી શકતો નથી અને તમામ ચીજ ગોપનિય રાખે છે ત્યારે મિતુલ ત્રિવેદી તો ઇન્ટરવ્યુ આપતા હતા જેથી ઘણાને શંકા પડી છે કે ખરેખર તે ઇસરો સાથે સંકળાયેલા છે કે કેમ. ઇસરોના મિશન વૈજ્ઞાનિકોની દરેક માહિતી ગોપનિય હોય છે ત્યારે મિતુલે જાહેરમાં પોતાની સિદ્ધિના દાવા કર્યા હતા. કેટલાકે તો એમ પણ કહ્યું કે મંગળવારે મિતુલ સુરતમાં જ હતો.
કોઇ વૈજ્ઞાનિક તુરત જ ઇસરો છોડીને સુરત પરત ફરે તે આશ્ચર્ય પમાડે તેવું
બુધવારે સાંજે જ્યારે ચંદ્રયાન 3 લેન્ડ થયું ત્યાર બાદ ગુરુવારે મિતુલ સુરત આવી ગયા હતા અને મિડીયાને ઇન્ટરવ્યુ આપ્યા હતા જેથી પણ ઘણાને શંકા ગઇ છે . ચંદ્રયાનની સફળતા બાદ કોઇ વૈજ્ઞાનિક તુરત જ ઇસરો છોડીને સુરત પરત ફરે તે આશ્ચર્ય પમાડે તેવું છે.
તેઓ ફ્રી લાન્સર કામ કરતા હોવાનો દાવો
મિતુલ ત્રિવેદી એમ પણ કહી રહ્યા છે કે હું ઇસરો અમદાવાદ સાથે નહીં પણ બેંગ્લોર સાથે સંકળાયેલો છું. ઇસરો જ મારી વિગતો આપશે. તેઓ ફ્રી લાન્સર કામ કરતા હોવાનું જણાવે છે અને કોન્ટ્રાક્ટ થયો હોવાનો દાવો પણ કરે છે. તેમણે એવો પણ દાવો કર્યો કે બુધવારે સાંજે હું ઇસરોમાં જ હતો પણ ફોન લઇ જવાની છુટ ના હોવાથી મારી પાસે ફોટા નથી.
તે યુનિવર્સિટી અને કોલેજમાં ભણાવે છે
એક પ્રોફેસરે તો એમ પણ જણાવ્યું કે મિતુલ ઇસરોમાં જોડાયો હોવાનું જુઠ્ઠાણુ ચલાવે છે અને સસ્તી પ્રસિદ્ધી મેળવવાનો પ્રયાસ કરે છે. તે યુનિવર્સિટી અને કોલેજમાં ભણાવે છે અને ઇસરો કે નાસામાં જોડાયેલા હોય તે વાતમાં દમ નથી.
તમામ સવાલોના જવાબ મેળવવા જરુરી
સવાલ એ પણ થાય કે જો ગુજરાતનો વ્યક્તિ ચંદ્રયાન સાથે સંકળાયેલો હોય તો હજી સુધી ગુજરાત સરકારે તેને કેમ અભિનંદન આપ્યા નથી. તેમની પાસે સ્પેસ સાયંસની ડિગ્રી પણ ના હોવાનો દાવો કરાઇ રહ્યો છે. જે હોય તે..પણ આખરે મિતુલ ત્રિવેદી ઇસરો સાથે સંકળાયેલા છે કે કેમ અને ચંદ્રયાનની ડિઝાઇન તેમણે બનાવી છે કે કેમ તે સહિતના પ્રશ્નોનો જવાબ મળવો જરુરી છે જેથી સામાન્ય વ્યક્તિ ગેરમાર્ગે ના દોરાય.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject