હવે જૂનાગઢમાં પણ ઉચ્ચ ગુણવત્તાની ખારેકનું સફળ ઉત્પાદન થઈ રહ્યું છે. મુળ કચ્છ નો પાક ગણાતી ખારેકનું હવે જૂનાગઢમાં પણ સફળ ઉત્પાદન થઈ રહ્યું છે. ખારેકના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકાર 50 ટકા સબસિડી આપી રહી છે. ખારેકનું એક ઝાડ 100 કિલોનું ઉત્પાદન આપે છે અને ખેડૂતો પોતાના ફાર્મ પરથી જ ખારેકનું વેચાણ કરીને લાખોની કમાણી કરી રહ્યા છે.
જૂનાગઢ – રાજકોટ હાઈવે પર વડાલ ગામ નજીક વ્યવસાયે ડોક્ટર એવા રમેશભાઈ ગજેરાએ પોતાના 12 વિઘાના ફાર્મમાં આઠ વર્ષ અગાઉ ખારેકનું વાવેતર કર્યું હતું અને હવે તેઓ ઝાડ દીઠ 80 થી 100 કિલો ખારેકના ઉતારા સાથે ખારેકનું સફળ ઉત્પાદન કરી રહ્યા છે.
વ્યવસાયથી તબીબ એવા ડોક્ટર રમેશ ગજેરાની વડાલ નજીક વારસાગત ખેતીની જમીન હતી, જે તે સમયે તેમના વડવાઓ ખેતી કરતાં પરંતુ સમય જતાં આસપાસ ઔદ્યોગિક એકમો વિક્સિત થતાં ખેતી પાકોમાં ખાસ કાંઈ ઉત્પાદન મળતું ન હતું તેથી આઠ વર્ષ અગાઉ કચ્છથી બારાહી નામની કલ્ચર પેટર્નના રૂપીયા 2500 ના ભાવે 170 રોપાની ખરીદી તેમણે કરી અને પોતાના ખેતરમાં 30 x 30 ના ગાળામાં વાવેતર કર્યું જેમાં ગુજરાત સરકાર દ્વારા તેમને 50 ટકા સબસીડી મળી હતી આમ તેમને એક ખારેકનો રોપ 1250 રૂપીયાનો થયો હતો. રોપાની વાવણી સહીતના ખર્ચ સાથે તેમને અંદાજે સવા બે થી અઢી લાખનું રોકાણ થયું હતું. રોપાનું વાવેતર કર્યા બાદ ત્રણ વર્ષે પહેલો ફાલ આવે છે અને ત્યારબાદ વર્ષમાં એક જ ફાલ આવે છે.
મુળ ઈરાનની અને ઈઝરાઈલ દ્વારા વિકસિત બારાહી જાતની ખારેક સામાન્ય ખારેકના પ્રમાણમાં કદમાં મોટી, ઠળીયો નાનો અને સ્વાદમાં સાકર જેવી મીઠી હોય છે, એક્ષપોર્ટ કક્ષાની હોય છે તેથી તેનો ભાવ પણ સારો મળે છે. ડોક્ટર રમેશભાઈ ગજેરાના ફાર્મમાં જે ખારેકનું ઉત્પાદન થાય છે તેનું તેઓ સીધું જ વેચાણ કરે છે. એક કિલોના પેકીંગમાં ખારેકનું તેઓ વેચાણ કરે છે તો આસપાસના વેપારીઓ પણ તેમના ફાર્મ પરથી ખરીદી કરીને વેચાણ કરે છે જે ખારેક 100 રૂપીયાના ભાવે વેચાય છે.
100 રૂપીયા પ્રતિ કીલોના ભાવે ખારેકનું જે વેચાણ થાય છે તેનો સીધો હિસાબ જોવા જઈએ તો એક ઝાડ પરથી 100 કિલોનું ઉત્પાદન અને 100 રૂપીયે કિલો વેચાણ, આમ એક ઝાડ વર્ષે એક જ વાર ફાલ આપીને 10 હજારની કમાણી કરાવી આપે છે અને જો તેની 150 ઝાડ સાથે ગણતરી કરવામાં આવે તો વાર્ષિક રૂપીયા 15 લાખની ઉપજ થાય છે.
ખારેક એક હાર્ડ પ્લાન્ટ છે. તેથી રોગ કે જીવાતની સંભાવના ઓછી રહે છે, તેને વધુ પાણીની આવશ્યકતા રહેતી નથી, વળી શેઢા પાળે પણ વાવેતર કરીને ખેતરમાં બીજો પાક પણ લઈ શકાય છે અને ખેતર ફરતે એક પ્રકારે રક્ષણ પણ થાય છે અને છોડને કોઈ ખાસ માવજતની જરૂર રહેતી નથી. આમ આ ખેતીના અનેક ફાયદા હોવાથી ખેડૂતો માટે ખારેકની ખેતી લાભદાયક છે.
અહેવાલ : સાગર ઠાકર, જુનાગઢ
આ પણ વાંચો : Sabrkantha News : છેલ્લા 24 કલાકમાં 8 માંથી 7 તાલુકામાં વરસાદ નોધાયો, ખેડૂતોમાં ‘આનંદો’