અહેવાલ- રહીમ લાખાણી, ગોંડલ
ગોંડલના ઘોઘાવદર ગામના પાંચ મહિનાના બાળકને હૃદયરોગની બીમારી હતી.જેની સારવાર સરકારી હોસ્પિટલમાં તદ્દન વિના મૂલ્યે મળતા આ બાળકને નવજીવન પ્રાપ્ત થયું છે.જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ આપેલી માહિતી અનુસાર ગોંડલના ઘોઘાવદર ગામના ધ્રુવ અજયભાઈ જેઠવા જેની ઉંમર 5 મહિના છે.જેની તબિયત સારી ન હોવાના કારણે તેના ગામના જ દવાખાનામાં ઈલાજ કરાવ્યો હતો.
જન્મજાત હૃદયરોગની બીમારીનું નિદાન કરવામાં આવ્યું
ત્યારે ગામના દવાખાનામાં કરાયેલી તપાસ દરમિયાન બાળકને મોટી બીમારી હોવાની જાણ થઈ હતી.ત્યાર બાદ વધુ તપાસ અને સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં તેને જન્મજાત હૃદયરોગની બીમારીનું નિદાન કરવામાં આવ્યું હતું.તે નિદાનમાં ખર્ચ અંગે તેના મોટા-પિતાને ચિંતા હતી. ત્યાર બાદ તેમને ખબર પડી કે સરકારી હોસ્પિટલમાં જ ધૃવને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે સરકારી હોસ્પિટલમાં સારવાર મળી શકશે.
તપાસ અને સારવાર વિનામૂલ્યે આપવામાં આવી
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે તેમના બાળક ધૃવને પ્રથમ તબક્કે રાજકોટ બાળ જિલ્લા હોસ્પિટલ ખાતે તપાસ અને સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી.તેમજ બીજા તબક્કામાં અમદાવાદમાં ૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ યુ.એન.મહેતા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ વધુ સારવાર નિઃશુલ્ક આપવામાં આવી હતી.જેને લીધે ધૃવ સામાન્ય જીવન જીવી શકશે.આમ સરકારી યોજનાની સારવાર બાદ પોતાનો નાનો ભૂલકો ગંભીર બીમારીમાંથી સ્વસ્થ થતાં તેના માતા – પિતાએ સરકારી તંત્રનો આભાર વ્યકત કર્યો હતો.
આ પણ વાંચો – Heart Attack : પ્રિ કોવિડમાં જેટલા કેસ થતા હતા, પોસ્ટ કોવિડ પણ તેટલા જ છે