પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ હવે મોકળો થયો છે. આજે ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ માંગણીઓ ફગાવી દીધી છે. મહત્વનું છે કે અરજદારે અરજીમાં રોપ-વેની કામગીરી પર રોક લગાવવાની માંગ કરી હતી.
અરજદારે અરજીમાં આ દલીલો કરી હતી
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે રોપ-વે બનાવવાની વિચારણા લાંબા સમયથી ચાલી રહી છે. આ માટે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. જો કે મંદિરના ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ પ્રોજેકટને લઈને સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે આઉટડેટેડ ટેક્નોલોજીવાળા રોપ-વે હશે તો મોરબી જેવી દુર્ઘટના પણ બનવાની સંભાવના રહેશે. વધુમાં તેણે જણાવ્યુ હતું કે રોપ-વે બનાવવાનું કાર્ય જેને સોંપવામાં આવ્યું છે તેને આ પ્રકારનો કોઈ અનુભવ નથી. જો કે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.
જૂનાગઢમાં ગીરનાર ડુંગર પર રોપ-વેને મંજૂરી મળી ત્યારથી ચોટીલા ડુંગર પર રોપ-વેને લગાવવા માટેની ચર્ચા ચાલી રહી હતી. આ અંગે કેબિનેટ દ્વારા પ્રસ્તાવિત મંજૂરી પણ આપી દેવાઈ હતી. જો કે બાદમાં આ રોપ-વે બનાવવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે તેને લઈને વિવાદ થયો હતો અને સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જેને લઈને હાલ ચોટીલા રોપ-વે પ્રોજેક્ટ અદ્ધરતાલ મુકાયો હતો.જો કે હવે હાઇકોર્ટે અરજી ફગાવતા ચોટીલામાં રોપ-વે બની શકશે.