દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર છે. છેલ્લા ૩ દિવસથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ગામે એક કરુણ ઘટના સામે આવી છે. એક ૩ વર્ષીય બાળકીનું ઘુટણસમાં પાણીમાં ડૂબી જતા મોત થયું છે. બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની રાજેશભાઈ નીનામાં હાલમાં તરસાડી ખાતે આવેલ અક્ષત મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ મીલના કમ્પાઉન્ડમાં આવેલ રૂમમાં પત્ની અને ૩ બાળકો સાથે રહે છે. આ દરમ્યાન પતિ-પત્ની મિલમાં કામ અર્થે ગયા હતા ત્યારે તેઓની ૩ વર્ષીય બાળકી અંજલિ ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહી હતી આ દરમ્યાન ત્યાં ભરાયેલા ઘુટણસમાં પાણીમાં તે ૩ વર્ષીય બાળકી પડી ગયી હતી.
પરિવારને બાળકી પાણીમાં પડી હોવાની જાણ થતા તેણીને લઈને બારડોલી સ્થિત સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ફરજપર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે હાલમાં સુરત જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે અને ભારે વરસાદને લઈને પાણી ભરાઈ રહ્યા છે ત્યારે વરસાદી પાણીના ભરવામાં ૩ વર્ષીય બાળકીનું ડૂબી જવાથી મોત થયું હોવાની કરુણ ઘટના સામે આવી છે.
અહેવાલ : ઉદય જાદવ, સુરત
આ પણ વાંચો : રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં PMAY(U) અંતર્ગત 4,93,136 પાકા ઘરોનું કરાયું નિર્માણ