Home » વિશ્વ વન દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં છોટાઉદેપુર વન વિભાગે ઓછામાં ઓછા ૧૦ હજાર ચારોળાના છોડ ઉગાડયા
વિશ્વ વન દિવસ : છેલ્લા પાંચ વર્ષમાં છોટાઉદેપુર વન વિભાગે ઓછામાં ઓછા ૧૦ હજાર ચારોળાના છોડ ઉગાડયા
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
105
આજે ૨૧મી માર્ચ એટલે કે વિશ્વ વન દિવસ ત્યારે એવા વિસ્તારની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે, જ્યાંના વન એ સુકામેવા તરીકે અકસીર ચારોળી પેદા કરે છે. છોટાઉદેપુર પંથક એ લીલાછમ જંગલો તેમજ પર્વતોની હારમાળા વચ્ચે વસેલ વિસ્તાર હોય જેને કુદરતી સંપત્તિ એ વારસામાં ભેટ સ્વરૂપે મળી આવેલ છે ત્યારે છોટાઉદેપુર જંગલના વિસ્તારોમાં ૩૦ થી ૪૦ હજાર ચારોળીના વૃક્ષો જે ત્યાંના વન બંધુઓ માટે પૂરક રોજગારીનું સાધન બનવા પામેલ છે.
રાજ્યના પંચમહાલ, નર્મદા અને દાહોદ જિલ્લામાં ચારોળાના વૃક્ષો આવેલા છે પણ ગુજરાતમાં અને કદાચ દેશભરમાં સૌથી વધારે છોટાઉદેપુર ડિવિઝનની વાત કરીએ તો એક લાખથી વધુ ચારોળાના વૃક્ષો છે. સામાન્ય રીતે કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ સહિતના સૂકા મેવાની ખેતી હિમાલયના સૂકા પ્રદેશોમાં અથવા નાસિક, ગોવામાં થાય છે જ્યારે એકમાત્ર ચારોળી ખેતી ગરમ પ્રદેશોના જંગલોમાં થાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે છોટાઉદેપુરના લગભગ ૧૦થી ૧૫ ગામોમાં ચારોળાના વૃક્ષો આવેલા છે, નવેમ્બર બાદ તેમાં ફૂલો આવવાનું શરુ થાય છે. ત્યારબાદ ફેબુ્રઆરીથી જૂન વચ્ચે તેમાં ફળ આવે છે. ચારોળા તરીકે ઓળખાતા ફળને ભાંગતા તેમાંથી જે બીજ મળે છે તે ચારોળી તરીકે ઓળખાય છે. દર વર્ષે લગભગ ૫ હજાર કિલો ચારોળાના ફળ છોટાઉદેપુર જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે, જેમાંથી ૩ હજાર કિલોની આસપાસ ચારોળી મળે છે.
ચારોળાના બીજ સૂકાઈને નીચે પડે છે ત્યારે ગામવાસીઓ તેને ભેગા કરીને તેમાંથી ચારોળી કાઢે છે. જેનું વૈજ્ઞાાનિક નામ બુકનાનીયા લંઝન છે. છોટાઉદેપુર જિલ્લાના ગામોમાં સ્થાપિત ૩૪૯ વન મંડળીઓ દ્વારા ચારોળીનું એકત્રીકરણ વનવિભાગની વનીકરણ મંડળીઓના સદસ્યો કરે છે. તેના વેચાણમાંથી મળતો નફો લગભગ ૨૫૦૦ જેટલાં ગામવાસીઓને આપવામાં આવે છે.
કેટલાંક ગામની મંડળીઓને વન વિભાગ દ્વારા ગ્રીડિંગ મશીન આપવામાં આવેલ છે જે મશીન થકી ચારોળીને ક્રશર મશીનમાં પીલવામાં આવે છે અને તેના બીજમાંથી ઉત્પાદિત ચારોળીને વન મંડળીના સદસ્યો દ્વારા બજારમાં વેચવામાં આવે છે. અને આમ કરી મંડળીના સદસ્યો ચારોળીના વેચાણ થકી નફો મેળવે છે, આમ છોટાઉદેપુર પંથકના ૨૫૦૦ જેટલા ગામના લોકો માટે ચારોળી એ પૂરક રોજગારીનું સાધન પણ બનવા પામેલ છે.
ચારોળીનો મુખ્ય ઉપયોગ મીઠાઈઓને સજાવવા માટેના સૂકા મેવા તરીકે થાય છે ઉપરાંત આયુર્વેદિક અને યૂનાની દવાઓમાં પણ વપરાય છે.આ સાથે ૧૫થી ૨૦ વર્ષ જૂનુ એક ચારોળાના વૃક્ષમાંથી ૫થી ૭ કિલો ચારોળાના ફળ પ્રાપ્ત થાય છે. જેમ-જેમ વૃક્ષ જૂનુ થાય તેમ તે વધુ ચારોળાના ફળ આપવા સક્ષમ બની જાય છે. હાલ છોટાઉદેપુરના જંગલોમાં આપમેળે ઉગેલા ૨૦થી ૪૦ વર્ષ જૂના ચારોળાના ૩૦થી ૪૦ હજાર વૃક્ષો આવેલા છે.
આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં વન વિભાગે ઓછામાં ઓછા ૧૦ હજાર ચારોળાના છોડ ઉગાડયા છે. આ વૃક્ષો લગભગ ૧૦ હજાર કિલોથી વધુ ચારોળીની પેદાશ કરે છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આધુનિકરણ ની આંધળી દોટ અને લીલાછમ જંગલો નો નાશ અને સિમેન્ટ કોંક્રીટના સ્થાપિત થતા જંગલો ની ઘેલછા વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ વૃક્ષો ના જતન અને સંરક્ષણ કરવાની નિભાવેલ અહીંના લોકોની નૈતિક જવાબદારીએ બેનમૂન દ્રષ્ટાંત તરીકે આજે પણ અડીખમ ઉભી જોવા મળી રહી છે, તો દેશ પરદેશમાં છોટા ઉદેપુર ના જંગલોની કોખમાં પેદા થયેલ સુકામેવા પોતાની આગવી ઓળખ ની સાથે પર્યાવરણ જતનના સંદેશને પ્રસ્થાપિત કરી રહ્યા છે.
અહેવાલ : તોફીક શેખ
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.