અહેવાલઃ સચીન શેખલીયા, બનાસકાંઠા
રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને નિશુલ્ક પ્લાસ્ટિક આપવાની જાહેરાતો કરાઈ પરંતુ આ જાહેરાત માત્ર જાહેરાત બની રહેતા ચાલુ સાલે બનાસકાંઠામાં થયેલા ધોધમાર વરસાદમાં અનેક ખેડૂતોના ખેતરોમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ખેત તલાવડીઓ ધોવાઈ છે. અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે…સરકારે જાહેરાત કર્યા બાદ ખેડૂતોને પ્લાસ્ટિક ન ફાળવતા નુકશાન ભોગવનાર ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે…
બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની અછત ભોગવતો જિલ્લો છે આ જિલ્લામાં દિવસે અને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે ત્યારે ભૂગર્ભજળને બચાવવા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જળસંચયના કામો તરફ વળ્યા છે ખેડૂતો પોતાના ખેતરોમાં ખેત તલાવડીઓ બનાવી રહ્યા છે… ત્યારે જિલ્લામાં વધુમાં વધુ ખેત તલાવડીઓ બને અને મોટા પ્રમાણમાં ખેડૂતો જળસંચયના કામો સાથે જોડાય તેને લઈ રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને 500 GSM પ્લાસ્ટિક નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી હતી… જોકે સરકારની નિશુલ્ક પ્લાસ્ટિકની જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લામાં 700 જેટલાં ખેડૂતોએ પોતાના ખેતરોની મોઘી મુલી જમીનોમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી ખેત તલાવડીઓ તો બનાવી દીધી પરંતુ સરકારની જાહેરાત માત્ર જાહેરાત બની રહી અને ખેડૂતોને આજ દિન સુધી પ્લાસ્ટિક ન ફાળવતા ચાલુ વર્ષે થયેલા ધોધમાર વરસાદને પગલે ખેડૂતોની ખેત તળાવડીઓ ધોવાઈ ગઈ છે…
ખેડૂતોએ પોતાના ખેતરોમાં જળ સંચય કરવા ખેત તલાવડીઓ બનાવી હતી પરંતુ હવે આ ખેત તલાવડીઓ જ ખેડૂતોના આંખોમાં પાણી વહાવી રહી છે… ડીસા તાલુકાના કંસારી ગામે… તો કંસારી ગામે ખેત તલાવડીઓ બનાવી લાખો રૂપિયાનું નુકસાન ભોગવનાર ખેડૂતોમાં સરકાર સહિત નિશુલ્ક પ્લાસ્ટિકની મોટી મોટી વાતો કરનાર અને ખેડૂતોની તલાવડીઓના મુર્હતો કરવા પહોંચેલા સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળી સામે ભારે રોષ ભભૂકેલો જોવા મળ્યો…કંસારી ગામે એકઠા થયેલા ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે કે સ્થાનિક ધારાસભ્ય ખેત તલાવડી બનાવવા મોટી મોટી વાતો કરતા હતા પરંતુ હવે જ્યારે ખેડૂતોને નુકસાન આવ્યું છે ત્યારે ખેડૂતોના ખેતરમાં નજર કરવા પણ નથી આવ્યા… અત્યારે તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે ખેડૂતોની ખેત તલાવડીઓ ધોવાઈ છે અને જેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તે ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવામાં આવે અને વહેલી તકે સરકારે કરેલી જાહેરાત અનુસાર પ્લાસ્ટિક ફાળવવામાં આવે.
આ બાબતે ખેડૂતોએ રોષ ઠાલવતા કહ્યું કે, ડીસાના ઘારાસભ્ય પ્રવિણભાઈ માળી અમારા ખેતરમાં આવી ખેત તલાવડી બનાવવા કહ્યું હતું અને એમની વાત સાંભળી લાખો રૂપિયા ખર્ચે ખેત તલાવડી બનાવી હતી પરંતુ ખેત તલાવડી માટે સરકાર દ્વારા પ્લાસ્ટિક આપવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી પ્લાસ્ટિક આપવામાં ન હતા ખેતરમાં બનાવેલી તલાવડી અને મોટું નુકસાન થયું છે જોકે અમારા ખેતરમાં મોટું નુકસાન થયું છે જેની અમને ભરપાઈ કરવા વિનંતી કરીએ છીએ