દેશની અદાલતોમાં હજુ પણ 5 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. કાયદા મંત્રાલયે રાજ્યસભામાં આ માહિતી આપી હતી. એક લેખિત જવાબમાં કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ઈન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમના ડેટા અનુસાર 1 જુલાઈ સુધીમાં સુપ્રીમ કોર્ટમાં 69,766 પેન્ડિંગ કેસ હતા. બીજી તરફ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના ડેટા મુજબ 14 મી જુલાઈ સુધી હાઈકોર્ટમાં 60,62,953 અને જિલ્લા કોર્ટ અને નીચલી અદાલતોમાં 4,41,35,357 કેસ પેન્ડિંગ હતા. આવા કુલ 5,02,68,076 કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે.
કાયદા મંત્રીએ કહ્યું કે અદાલતોમાં કેસ પેન્ડિંગ રહેવાના ઘણા કારણો છે, જેમ કે ન્યાયાધીશોની સંખ્યા, સહાયક સ્ટાફ, પુરાવા, તપાસ એજન્સીઓ, સાક્ષીઓ વગેરે. આ સિવાય બીજા પણ ઘણા કારણો છે જેના કારણે ઘણા કેસ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે પેન્ડિંગ મામલાના નિરાકરણની પ્રક્રિયામાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ ઉપરોક્ત કારણોને લીધે કેસોના નિકાલમાં વિલંબ થાય છે.
9 વર્ષમાં SC માં 56 જજોની નિમણૂક
ન્યાયાધીશોની નિમણૂક અંગે અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે 01.05.2014 થી 10.07.2023 સુધી સુપ્રીમ કોર્ટમાં 56 જજોની નિમણૂક કરી છે. આ સિવાય હાઈકોર્ટમાં 919 નવા જજ અને 653 એડિશનલ જજની નિમણૂક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો હાઈકોર્ટના જજોની નિમણૂકની વાત કરીએ તો 2014 માં હાઈકોર્ટમાં 906 જજ હતા અને હવે 1114 જજ છે.
ચોમાસુ સત્રનો પહેલો દિવસ હંગામાથી ગરકાવ થયો હતો
તમને જણાવી દઈએ કે સંસદનું ચોમાસુ સત્ર ગુરૂવારથી શરૂ થયું છે. પ્રથમ દિવસનું સત્ર કોઈ પણ કામ વગર હંગામામાં સમાપ્ત થયું હતું. મણિપુર હિંસા પર સંસદમાં ભારે હોબાળો થયો હતો. સત્ર શરૂ થયાના થોડા સમય બાદ બંને ગૃહોની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ પછી જ્યારે બે વાગ્યે કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી દળોએ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું. સંસદમાં સૂત્રોચ્ચાર થવા લાગ્યા. આ પછી બંને ગૃહ ફરી સ્થગિત કરી દેવામાં આવ્યા.
અહેવાલ : રવિ પટેલ, અમદાવાદ
આ પણ વાંચો : Jaipur Earthquake: જયપુરમાં ત્રણ વખત આવ્યો ભૂકંપ, જોરદાર આંચકાથી આખું શહેર હચમચી ગયું, લોકો ડરીને ઘરની બહાર ભાગ્યા